Odisha : ઓડિશામાં ત્રણ તબક્કાની પંચાયત ચૂંટણીના (Panchayat Election) ત્રીજા તબક્કા દરમિયાન પત્રકારો (Journalist) પર હુમલો કરવાના આરોપમાં પાંચ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પંચાયત ચૂંટણી દરમિયાન કથિત છેડતીના આરોપમાં રવિવારે જાજપુર જિલ્લાના બિંજારપુર વિસ્તારમાં ત્રણ પત્રકારો દેબાશિષ સાહુ, ગુલશન અલી નવાઝ અને બિજય સાહુ પર હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ 40 લોકોએ કથિત રીતે પત્રકારો પર હુમલો કર્યો હતો.
તેઓએ પત્રકારોના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ. હાલ આ ઈજાગ્રસ્ત પત્રકારોને સારવાર અર્થ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે પૂછપરછ માટે 10 મહિલાઓ સહિત 25 લોકોની અટકાયત કરી હતી. જ્યારે પત્રકારોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના ચૂંટણી કમિશનર એપી પાધીને મળીને આ ઘટનાની નિંદા કરી અને ઓડિશાના DGP ને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.
જાજપુરના પોલીસ અધિક્ષક રાહુલ પીઆરએ કહ્યુ કે, પત્રકારો પર હુમલાના કેસમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં IED બ્લાસ્ટમાં એક સ્થાનિક પત્રકારનું મૃત્યુ થયુ હતુ. તેથી એવી આશંકા સેવાઈ રહી છે કે આ IED માઓવાદીઓ દ્વારા જ પંચાયત ચૂંટણી દરમિયાન આ કારસ્તાન કરવામાં આવ્યુ છે. આ પહેલા પંચાયત ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન પુરી અને નયાગઢ જિલ્લામાં પણ પત્રકારો પર હુમલા થયા હતા.
સોમવારે બાલાસોર જિલ્લાના સંતરાગડિયા ગામમાં લોકોના એક જૂથે પોલીસ વાનને રોકીને એક યુવકને કસ્ટડીમાંથી બહાર કાઢ્યો હતો, જેની રવિવારે પંચાયત ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન પત્રકાર પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગ્રામજનોએ આરોપીઓને પોલીસ કસ્ટડીમાંથી બહાર કાઢવા બળપ્રયોગ કર્યો હતો.