Operation Sindoor : આવું આવું થયું .. પાકિસ્તાની આતંકવાદી ઠેકાણા પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે અજીત ડોભાલે 8 દેશોને આપી માહિતી
ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે અમેરિકા, યુકે, ફ્રાન્સ, રશિયા અને યુએઈ સહિત આઠ મુખ્ય દેશો સાથે વાત કરી અને તેમને ભારતના હુમલાની માહિતી આપી. ડોભાલે કયા દેશોના અધિકારીઓ સાથે વાત કરી તે જોવા માટે યાદી જુઓ.
‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈક બાદ, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે અનેક દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી.
- ડોભાલે સૌપ્રથમ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ પ્રધાન માર્કો રુબિયો સાથે વાત કરી.
- આ પછી, તેમણે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે વાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી.
- ડોભાલે સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-ઐબાન સાથે પણ વાત કરી.
- ડોભાલે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચએચ શેખ તહનૂન સાથે પણ ફોન પર વાત કરી અને તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમણે UAE રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ અલી અલ શમસીનો પણ સંપર્ક કર્યો.
- ડોભાલે જાપાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મસાતાકા ઓકાનો સાથે પણ વાતચીત કરી હતી.
- ભારતના NSA એ રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સેરગેઈ શોઇગુનો પણ સંપર્ક કર્યો.
- અજીત ડોભાલે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને વિદેશ મંત્રી વાંગ યીનો સંપર્ક કરીને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી.
- ડોભાલે ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોન સાથે પણ વાત કરી.
ભારતીય સેનાએ વિનાશ દર્શાવતા સત્તાવાર ફોટા અને વીડિયો જાહેર કર્યા
તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે જે નવ સ્થળો પર હુમલો કર્યો છે તેના સત્તાવાર ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય સેનાની મહિલા અધિકારીઓ – વિંગ કમાન્ડર વ્યોમિકા અને કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી.
તેમણે કહ્યું કે PoJKમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા, જ્યારે ચાર આતંકવાદી ઠેકાણા પાકિસ્તાની ક્ષેત્રમાં સ્થિત છે. ખાસ વાત એ છે કે મુરીદકેમાં લશ્કરના મુખ્યાલય- મરકઝ-તૈયબા પર એક પછી એક ચાર મિસાઇલો છોડવામાં આવી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા. “ઓપરેશન સિંદૂર” ને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
Published On - 4:24 pm, Wed, 7 May 25