કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. લોકશાહી ખતરામાં હોવાનો આક્ષેપ હોય કે પછી સંસદમાં માઈક બંધ કરવાનો મામલો હોય. જો કે ભાજપ નેતૃત્વ રાહુલ ગાંધીના આ દાવાઓને સતત નકારી રહ્યું છે. કેન્દ્રીય પર્યટન, સંસ્કૃતિ પ્રધાન જી. કિશન રેડ્ડીએ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, લોકશાહી ખતરામાં નથી પરંતુ કોંગ્રેસ પક્ષનું અસ્તિત્વ જ ખતરામાં છે.
કેન્દ્રીય પર્યટન જી કિશન રેડ્ડીએ સવાલ કર્યો છે કે, રાહુલ ગાંધી આ મામલે કેમ ખાસ છે ? આવું પહેલીવાર નથી થઈ રહ્યું કે જ્યારે કોઈ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તો તેમનુ સભ્યપદ રદ થયુ હોય. પોતાના મુદ્દાને યોગ્ય ઠેરવતા, જી કિશન રેડ્ડીએ આઝમ ખાન અને જયલલિતા જેવા નેતાઓના ઉદાહરણો ટાંક્યા, જેમણે કોર્ટના નિર્ણયોને કારણે તેમનું સભ્યપદ ગુમાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું, જેના વિરુદ્ધ સુરત કોર્ટે તેમને 2 વર્ષની સજા સંભળાવી છે. આના એક દિવસ બાદ જ તેમનું લોકસભામાંથી સંસદસભ્ય તરીકેનુ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. હવે આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સતત નિવેદનો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત
જી કિશન રેડ્ડીએ એ હકીકતની પણ ટીકા કરી હતી કે, અગાઉ જાતિવાદી નિવેદનો આપ્યા બાદ અને તેમને ન્યાયી ઠેરવ્યા બાદ કોંગ્રેસ હવે કોર્ટ જેવી સ્વતંત્ર સંસ્થાઓને નિશાન બનાવી રહી છે. જી કિશન રેડ્ડીએ ભારતીય સંસ્થાઓ અને ભારતને અપમાનિત કરવા એ રાહુલ ગાંધીનો પ્રિય શોખ ગણાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને સલાહ આપી કે તેમણે ઈતિહાસ પર એક નજર નાખવી જોઈએ કે, કેવી રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની આજ્ઞા ન માનનારા રાજ્યો સામે બંધારણની કલમ 356 નો 50 વખત દુરુપયોગ કર્યો હતો, અને રાષ્ટ્રપતિ શાસન લાદીને વિવિધ રાજ્ય સરકારોને તોડી પાડી હતી. એકલા રાહુલ ગાંધીના પરિવારે રાજ્ય સરકારોને પછાડવા માટે કલમ 356નો 75 કરતા વધુ વખત દુરુપયોગ કર્યો હતો.
આ દરમિયાન જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધીએ પોતાની જ સરકારના વટહુકમને ફાડવાનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે શું આ બંધારણીય અને લોકશાહી પગલું હતું ? આ સાથે, જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનોનો બચાવ કરનાર કેટલાક રાજકીય પક્ષોની પણ ટીકા કરી છે, અને તેમના રાજ્યોમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓની પવિત્રતાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.
જી કિશન રેડ્ડીના કહેવા પ્રમાણે, કોર્ટના નિર્ણયનો વિરોધ કરનાર રાહુલ ગાંધીના પરિવારે પણ નૈતિક આધાર ગુમાવ્યો છે. આ સાથે રેડ્ડીએ દેશભરમાં 2013 થી ગેરલાયક ઠેરવાયેલા સાંસદો અને ધારાસભ્યોની યાદી બહાર પાડી અને કોંગ્રેસને યાદ અપાવ્યું કે આમા તમામ પક્ષોના નેતાઓ છે અને કોઈએ કહ્યું નથી કે સભ્યપદ રદ થવાનો નિર્ણય, એ લોકશાહી વિરોધી નિર્ણય છે. આવી સ્થિતિમાં કોર્ટના નિર્ણયના કારણે ખાસ પરિવારના કોઈ સભ્યનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે, તેનો અર્થ એ નથી કે લોકશાહી જોખમમાં છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 8:08 am, Wed, 29 March 23