સરકારે બનાવેલા રોડ પર ખાનગી વાહનો દોડે છે તે રીતે પાટા પર ખાનગી ટ્રેન દોડશે, રેલવેનું ખાનગીકરણ નહીઃ પિયુષ ગોયલ
Indian Railway કેન્દ્રીય રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં ખાતરી ઉચ્ચારી છે કે, ભારતીય રેલ્વેનું ખાનગીકરણ નહી કરાય. જે રીતે સરકારે બનાવેલા રોડ ઉપર ખાનગી વાહનો દોડે છે અને પ્રગતિ થાય છે તે રીતે સરકારે બનાવેલા રેલ્વેના પાટા પર ખાનગી ટ્રેન દોડશે અને દેશનો વિકાસ થશે.
કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે સ્પષ્ટતા કરી છે કે, ભારતીય રેલવેનું ( Indian Railways ) ખાનગીકરણ કરવામાં નહી આવે. રેલવે એ ભારતની સંપતિ છે. મુસાફરોને સારી અને આરામદાયક સુવિધા આપવા, રેલવે થકી અર્થવ્યવસ્થા વધુ મજબુત થાય તેવા કામ કરવામાં આવશે. જેમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. જેમ સરકારે બનાવેલા રોડ ઉપર ખાનગી વાહનો દોડે છે તે રીતે સરકારે બનાવેલા પાટા ઉપર ખાનગી ટ્રેન દોડે તેમાં ખોટુ કશુ નથી તેમ કહીને ખાનગી ક્ષેત્રે દોડતી રેલવેનો બચાવ કર્યો હતો.
લોકસભામાં વર્ષ 2021-22 માટે રેલ્વે વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે સામે આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક સાંસદો રેલ્વેનું ખાનગી કરણ કરી દેવામાં આવશે તેવી કોર્પોરેટ કંપની બનાવી દેવામાં આવશે તેવી વાતો કરે છે તે દુખદાયક છે. હુ એવા સાંસદોને આશ્વાસન આપવા માંગુ છુ કે રેલવેનું ખાનગીકરણ ક્યારેય નહી થાય. રોડ સરકારે બનાવ્યા છે તો કેમ કોઈ નથી કહેતુ કે આ માર્ગ ઉપર માત્ર સરકારી વાહનો જ ચલાવવા જોઈએ. જે રીતે સરકારે બનાવેલા માર્ગ ઉપર તમામ પ્રકારના વાહનો ચાલવાથી પ્રગતિ થાય છે. તેવી જ રીતે રેલ્વે ટ્રેક પર ખાનગી ટ્રેન ચાલવાથી રેલ્વેની સાથેસાથે દેશની પણ પ્રગતિ થશે. અમૃતસર માટે 230 કરોડના રોકાણ સાથેની યોજના બનાવાઈ છે. દેશના 50 સ્ટેશનોને મોડલ ડિઝાઈન તૈયાર કરાઈ છે. નવી દિલ્લી રેલ્વે સ્ટેશનનુ આધુનિકરણ કરાશે.