હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ કોઈ ફરિયાદ કરશે તો તેમની ફરિયાદો 21 દિવસમાં ઉકેલવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ સરકારી વિભાગોને આ સૂચના જારી કરવામાં આવી છે. અગાઉ, સરકારી વિભાગોને ફરિયાદોના નિરાકરણ માટે 60 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જેને હવે ઘટાડવામાં આવી છે.
જાહેર ફરિયાદોના નિરાકરણ માટે, કેન્દ્ર સરકારે 2020માં સમય મર્યાદા ઘટાડીને 45 દિવસ અને 2022માં 30 દિવસ કરી. હવે તેને 21 દિવસ કરવામાં આવી છે. સરકારને સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) પર દર વર્ષે 30 લાખથી વધુ જાહેર ફરિયાદો મળે છે.
નવી સૂચનાઓ મુજબ, જો ફરિયાદ માટે વધારાના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો કોઈ ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. CPGRAMS પર, ફરિયાદ અધિકારીઓ નાગરિકોનો સંપર્ક કરી શકે છે અને જરૂરિયાત મુજબ વધારાના દસ્તાવેજો મેળવી શકે છે.
‘સરકારના સંપૂર્ણ અભિગમ’ હેઠળ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ‘તે આ મંત્રાલય/વિભાગ/ઓફિસ સાથે સંબંધિત નથી’ એમ કહીને કોઈ પણ સંજોગોમાં ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. જો ફરિયાદનો વિષય પ્રાપ્ત કરનાર મંત્રાલય સાથે સંબંધિત ન હોય, તો તેને યોગ્ય સત્તાધિકારીને સ્થાનાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
આ વર્ષે અત્યાર સુધી, કેન્દ્ર સરેરાશ 13 દિવસમાં ફરિયાદોનું નિરાકરણ કરી રહ્યું છે. જુલાઈ 2024માં, કેન્દ્રીય સચિવાલયમાં સતત 25મા મહિને માસિક નિકાલ એક લાખ કેસને વટાવી ગયો. જેના કારણે પેન્ડિંગ કેસોમાં ઘટાડો થયો છે. સરકારના દાવા મુજબ કેન્દ્રીય સચિવાલયમાં પેન્ડિંગ ફરિયાદોની સંખ્યા ઘટીને 66,060 થઈ ગઈ છે. આમાંથી 69% ફરિયાદો 30 દિવસથી ઓછા સમય માટે પેન્ડિંગ છે.