Maha Kumbh 2021ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 11 વર્ષો બાદ યોજાનાર આ કુંભ મેળાની પહેલી શોભાયાત્રા 3 માર્ચે કાઢવામાં આવશે. જેના માટે વિવિધ અખાડાઓના સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચી ચુક્યા છે. પંચાયતી અખાડો શ્રી નિરંજનની ભવ્ય શોભાયાત્રા માટે તૈયારીઓ જોરશોરથી ચાલુ થઇ ચૂકી છે. અખાડાના મહંત, મહામંડલેશ્વર સહિત હજારો લોકો શોભાયાત્રાની તૈયારીમાં લાગી ગયા છે. યાત્રા માટે ખાસ રથ, સિંહાસન, હાથી, ઉંટ, ઘોડા વગેરે મંગાવી લેવાયા છે. કુંભમેળામાં અખાડાઓની શોભા યાત્રા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. લોકો વર્ષો સુધી તેની રાહ જોતા હોય છે.
ચાંદીનું સિંહાસન મંગાવાયુ
3 માર્ચની શોભાયાત્રા માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરકવામાં આવી રહી છે. નિરંજન અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યુ કે, યાત્રાને ભવ્ય અને આકર્ષક બનાવવા માટે પ્રયાગરાજથી ચાંદીનુ સિંહાસન, ભવ્ય રથ અને ઘણો શણગારનો સામાન મંગાવ્યો છે, શોભાયાત્રામાં ઉત્તરાખંડની સંસ્કૃતિની જલક જોવા મળશે. જેના માટે ખાસ કલાકારોને બોલાવવામાં આવ્યા છે અને સંગીત માટે નાશિકથી ખાસ બેંડ બોલાવવામાં આવ્યું છે.
શું હોય છે શોભાયાત્રા ?
ભારતમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જેન અને નાશિક એમ ચાર શહેરોમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળા પહેલા અખાડાઓના સાધુ સંતો આવીને કુંભનગરમાં આવીને રહેવા લાગે છે. બધા અખાડાઓ તરફથી સાઘુ સંતો માટે છાવણીઓ બનાવવામાં આવે છે. જ્યારે આ સાધુસંતો છાવણીમાંથી નીકળીને અખાડામાં પ્રવેશ કરે છે ત્યારે શોભાયાત્રા કાઢવામાં આવે છે આ યાત્રાને પેશ્વાઇ પણ કહેવામાં આવે છે. આ યાત્રા ખરેખર ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું શક્તિ પ્રદર્શન હોય છે .