
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રસોઈ ગેસ (LPG)ના પુરવઠા પર કોઈ અસર ન પડે તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે સરકારે દેશની તેલ રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. સરકારનો હેતુ એ છે કે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે.
સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ, દેશની તમામ રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન મહત્તમ સ્તરે વધારવા અને પ્રથમ પ્રાથમિકતા તરીકે દેશના બજારમાં તેનો પુરવઠો સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા અંગે ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે જારી કરાયેલા આ સરકારી નિર્દેશમાં રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને આ ગેસ ફક્ત ત્રણ સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ને જ વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત પાસે હાલમાં ઊર્જાના અનેક વિકલ્પ સ્ત્રોતો ઉપલબ્ધ છે. માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા નથી. હાલમાં ભારત ક્રૂડ ઓઇલ, તેલ ઉત્પાદનો અને LPGના ભંડારની દ્રષ્ટિએ આરામદાયક સ્થિતિમાં છે. સરકાર વિશ્વના અન્ય દેશોમાંથી પણ તેલ પુરવઠો વધારવાની તૈયારી કરી રહી છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ વિક્ષેપ થાય તો પણ તેની અસર ઓછી રહે.
Govt Sources: Today, we have more energy sources than what is stuck in the Straits of Hormuz. We are in a comfortable position in Crude oil, Oil products and LPG. In terms of our current stock, we are in a comfortable position. We are going to ramp up our supplies from other… pic.twitter.com/plzLEDvl25
— ANI (@ANI) March 6, 2026
ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે. 2022માં ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો, પરંતુ તાજેતરમાં આ આંકડો વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે રશિયાથી દરરોજ અંદાજે 1.04 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું, જે કુલ આયાતનો લગભગ 20 ટકા ભાગ છે.
આ સાથે MRPL રિફાઇનરી બંધ થવાના સમાચારને સરકારે ખોટા ગણાવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ MRPL રિફાઇનરી પાસે પૂરતો સ્ટોક છે અને તે સંપૂર્ણ રીતે સામાન્ય કામગીરી કરી રહી છે. દેશની તમામ LPG રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
સ્થાનિક માંગ પૂરી કરવા માટે સરકાર પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં વપરાતા કેટલાક ઘટકોનો ઉપયોગ પણ સ્થાનિક સ્તરે કરવાની યોજના બનાવી રહી છે, જેથી LPGના પુરવઠા પર કોઈ દબાણ ન આવે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને દરિયાઈ માર્ગોમાં વિક્ષેપ અંગે ચિંતા વધી રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. ત્યાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય તો વૈશ્વિક ઉર્જા પુરવઠા પર તેની અસર પડી શકે છે.
સરકારના આદેશમાં વધુમાં જણાવાયું છે કે LPGના ઉત્પાદન માટે વપરાતા બે મુખ્ય ઘટકો — પ્રોપેન અને બ્યુટેન —ને પેટ્રોકેમિકલ ઉદ્યોગ તરફ વાળવામાં નહીં આવે. ઉપરાંત ત્રણેય સરકારી તેલ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે LPGનો પુરવઠો મુખ્યત્વે સ્થાનિક ગ્રાહકોને જ આપવામાં આવે.
ભારતના મોટા ભાગના ઘરોમાં રસોઈ માટે LPG ગેસનો ઉપયોગ થાય છે, જે મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન ગેસના મિશ્રણથી બનેલો હોય છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે વૈશ્વિક સ્તરે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા હોવા છતાં દેશના ઘરોમાં LPG ગેસનો પૂરતો પુરવઠો સતત ઉપલબ્ધ રહે.
US-Iran War વચ્ચે ભારતમાં પેટ્રોલ- ડીઝલના પુરવઠા અંગે સૌથી મોટા સમાચાર, BPCL એ આપ્યું નિવેદન, જાણો