
ન તો ઘરનો કે ન ઘાટનો – આ કહેવત ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ સ્થાપક લલિત મોદી પર બરાબર બંધ બેસે છે. નાગરિકતા સંકટમાં ફસાયેલા લલિત મોદીએ તાજેતરમાં જ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા અરજી કરી દીધી હતી. તેના થોડા દિવસો પછી, વનુઆતુ સરકારે પણ લલિત મોદી સામે મોટું પગલું ભર્યું અને તેની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો. હવે લલિત મોદી પાસે ના તો ભારતની નાગરિકતા છે કે ના તો વનુઆતુની. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈપણ દેશની નાગરિકતા ના હોય તો શું થાય?
લલિત મોદી પર આઈપીએલમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને તે ભારતીય કાયદાથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહે છે. લલિત મોદી માટે વનુઆતુની નાગરિકતા, એ એક સલામત ઘર સમાન હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવતાં જ વનુઆતુ સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. વડા પ્રધાન જોથમ નાપટે સ્પષ્ટ કર્યું કે, તેમનો દેશ કોઈ પણ ભાગેડુને આશ્રય નહીં આપે અને લલિત મોદીની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો.
વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુઓના સમૂહનો દેશ છે. તે 83 ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ છે, જેમાંથી માત્ર 65 ટાપુ ઉપર જ લોકો જ વસવાટ છે. તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ન્યુઝીલેન્ડની ઉત્તરે અથવા ઓસ્ટ્રેલિયા અને ફિજી વચ્ચે સ્થિત છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર પોર્ટ વિલા છે, જે એફેટ ટાપુ પર સ્થિત છે. ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુ પાસપોર્ટ 133 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હેનલી ઈન્ડેક્સ મુજબ, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 51મા ક્રમે છે, સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઈન્ડોનેશિયા (64)થી ઉપર. ભારત 80માં નંબર પર છે.
બીજી રસપ્રદ વાત એ છે કે, વનુઆતુમાં કોઈપણ વ્યક્તિની આવક કે મિલકત પર કોઈ ટેક્સ લાગતો નથી. દેશમાં ના તો વારસાગત કર છે કે ના તો કોર્પોરેટ ટેક્સ. કદાચ એટલે જ લલિત મોદીએ વનુઆતુની નાગરિકતા લેવાનું વિચાર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે વર્ષમાં 30 અમીર ભારતીયોએ અહીંની નાગરિકતા મેળવી છે અને અહીંની નાગરિકતા લેનારાઓમાં ચીનના લોકો સૌથી આગળ છે.