
લોનાવલાના યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના રહસ્યમય મૃત્યુ કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત તરીકે જોવામાં આવી હતી, પરંતુ પોલીસની સઘન તપાસ બાદ મામલો હત્યાના કાવતરામાં ફેરવાઈ ગયો છે. તપાસમાં સામે આવ્યું છે કે કેતનની થનારી પત્ની સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતને મળીને તેની હત્યાનું આયોજન કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને ચેતને કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ જઈને ખીણમાં ધકેલી દેવાનો પ્લાન બનાવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ કેતનની હત્યા કરવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યો હતો. જોકે, ઊંચાઈનો ડર હોવાને કારણે કેતન દર વખતે લોહાગઢ જવા માટે તૈયાર થતો ન હતો. અંતે, સિયાના સતત આગ્રહ બાદ તે લોહાગઢ ગયો અને ત્યાં તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસને મળેલા CCTV ફૂટેજમાં ચેતન હૂડી પહેરીને શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો છે. ટેક્નિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસે તપાસનો દોર હત્યાની દિશામાં આગળ વધાર્યો છે.
કેતનના પિતાના જણાવ્યા અનુસાર, જો લોહાગઢમાં બનાવેલો પ્લાન સફળ ન થાય તો આરોપીઓએ તેને મહાબળેશ્વર લઈ જઈને હત્યા કરવાની પણ તૈયારી રાખી હતી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ઘટનાથી થોડા દિવસો પહેલાં સિયા ગોયલ કેતનને લોહાગઢ લઈ ગઈ હતી અને તેને સાપનો ડર બતાવી ખીણમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો.
કેતન અને સિયાના લગ્ન ટૂંક સમયમાં થવાના હતા. પરિવાર દ્વારા લગ્ન માટે આશરે ₹14 કરોડનો ભવ્ય મહેલ પણ બુક કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિયા આ લગ્નથી ખુશ નહોતી. તપાસ એજન્સીઓના મતે, સિયા અને ચેતન વચ્ચે નજીકના સંબંધો હતા, જેના કારણે બંનેએ કેતનને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો.
કેતનના પિતાએ લોનાવાલા ગ્રામીણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે અને પોતાના પુત્ર માટે કડક ન્યાયની માંગ કરી છે. હાલ સિયા ગોયલ અને ચેતન સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ પુણે અને લોનાવલા સહિતના વ્યાપારી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાના આ કથિત કાવતરાએ સૌને ચોંકાવી દીધા છે.
ભયાનક સંકટ આવી ગયું ! હવામાનને લઈ નાસાની મોટી ચેતવણીથી વિશ્વભરમાં હલચલ