Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસામાં (Jahangirpuri Violence) તહેનાત નિરીક્ષક રાજીવ રંજને FIRમાં જણાવ્યું છે કે જુલૂસ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, જ્યારે તે સી-બ્લોક મસ્જિદ પાસે પહોંચ્યું ત્યારે એક વ્યક્તિ તેના 4-5 અન્ય લોકો સાથે જુલૂસમાં સામેલ થયો હતો. બાદમાં બંને તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. ધાર્મિક શોભાયાત્રાની સુરક્ષામાં લાગેલી પોલીસે (Delhi Police) બંને જૂથોને અલગ કરી દીધા હતા, પરંતુ થોડા સમય બાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. હનુમાન જયંતિ નિમિત્તે પથ્થરમારો કરીને કોમી ઘર્ષણ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપીનું નામ અંસાર (Ansar) જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અંસાર જહાંગીરપુરી વિસ્તારનો રહેવાસી છે.
અંસારની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે, આ પહેલા પણ તે ભૂતકાળમાં અનેક ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે વાયરલ ફૂટેજ અને CCTV ના (CCTV Footage) આધારે અત્યાર સુધીમાં 10 થી 15 જેટલા લોકોની અટકાયત કરી છે. ડીસીપી નોર્થ-વેસ્ટ ઉષા રંગનાનીએ કહ્યું કે, જહાંગીરપુરી હિંસા મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી હાલ હથિયાર પણ કબજે કર્યા છે.
દિલ્હી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 147, 148, 149, 186, 353, 323, 332, 427, 436, 307, 120B IPC અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસની ટીમ હાલ ઘટનાના મોબાઈલ વીડિયો અને CCTV ફૂટેજ એકત્ર કરી રહી છે. આ સાથે એવા પણ અહેવાલો છે કે ગઈકાલે થયેલી હિંસા દરમિયાન ઘણી દુકાનોમાં લૂંટ પણ થઈ છે.
દિલ્હીના (Delhi) જહાંગીરપુરી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા પિતા-પુત્ર સુરેશ ગર્ગ અને સંદીપનો આરોપ છે કે અચાનક થયેલા હંગામામાં તેઓ અને તેમનો પુત્ર પોતાનો જીવ બચાવવા માટે દુકાનમાં છુપાઈ ગયા હતા, પરંતુ હુમલાખોરોએ દુકાનમાં રાખેલા લગભગ 20 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. સુરેશનો દાવો છે કે અન્ય દુકાનો પણ લૂંટાઈ છે. સુરેશના પુત્ર સંદીપનું કહેવું છે કે તેણે જરૂરી પેમેન્ટ કરવાનું હતું, આ માટે તે બેંકમાંથી પૈસા લાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ ફોર્સ તહેનાત હોવા છતાં પરિવારો હજુ પણ ગભરાટમાં છે અને દુકાન ખોલવાની હિંમત કરી શકતા નથી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : દિલ્હી, ઉતરાખંડ બાદ કર્ણાટકમાં પણ તોફાનો ફાટી નીકળ્યા, હુબલી શહેરમાં કલમ 144 લાગુ