ભારતે ગુરુવારે ફરી એકવાર ચીનને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ના સંચાલન માટેના કરારોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું. ભારતનું આ નિવેદન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદને (Border Dispute) ઉકેલવા માટે યોજાનારી સૈન્ય બેઠકના 16મા રાઉન્ડના બે દિવસ પહેલા આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “ભારત અને ચીન વચ્ચે 1993 અને 1996માં થયેલા યોગ્ય કરારોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તે જરૂરી છે.” તેઓ મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલી ગતિરોધ સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
બાગચીએ વિદેશ મંત્રી એસ. જયશંકરના એ નિવેદનનો પણ સંદર્ભ આપ્યો હતો કે, LAC પર પરિસ્થિતિને એકપક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસને ભારત ક્યારેય સ્વીકારશે નહીં. ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે 5 મે, 2020થી મડાગાંઠ ચાલી રહી છે, જેના કારણે પેંગોંગ લેક વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ પછી, બંને પક્ષોએ તે વિસ્તારોમાં હજારો સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યા.
અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે ભારત-ચીન સરહદ વિવાદ પર કડક વલણ અપનાવતા કહ્યું હતું કે LAC પર યથાસ્થિતિ બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસને “સહન કરવામાં આવશે નહીં”. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન સમસ્યા 1962માં ચીન દ્વારા વ્યૂહાત્મક વિસ્તારો પર કબજો જમાવવાનું પરિણામ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટને લઈને ભારત સરકારની સત્તાવાર સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર વિદેશ મંત્રીનો આ જવાબ આવ્યો છે.ગાંધીએ ટ્વીટમાં દાવો કર્યો હતો કે ભારતીય ક્ષેત્રમાં “ચીની ઘૂસણખોરી વધી રહી છે”.
જયશંકરે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં જે કંઈ બન્યું છે, અમે ખૂબ જ સ્પષ્ટ છીએ અને એ સુનિશ્ચિત કરવા માટે ખૂબ સક્ષમ છીએ કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર એકપક્ષીય રીતે યથાસ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસને અમારા દ્વારા સહન કરવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે બંને દેશોના સૈન્ય કમાન્ડરો અને રાજદ્વારીઓ વચ્ચે વાતચીત દ્વારા સરહદી મુદ્દાને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. જયશંકરે કહ્યું કે પૂર્વીય પાડોશી સાથે સરહદનો મુદ્દો મુખ્યત્વે કોંગ્રેસના શાસન દરમિયાન 1962 માં ચીન દ્વારા લદ્દાખ સહિત ભારતના મોટા ભાગ પર કબજો કરવાને કારણે છે.