દગાબાજ ચીન આખરે ભારતની કુટનિતી સામે હાર્યુ છે. ભારત અને ચીનના કર્નલ સ્તરની અગિયાર કલાક લાંબી યોજાયેલી બેઠક બાદ ચીને પોતાની સરહદમાં વધુ પાછળ જવાનું સ્વિકાર્યુ છે. કર્નલસ્તરની બેઠકમાં ભારતે ચીનને પેટ્રોલિગ પોઈન્ટ 14 સુધી પાછળ જવા દબાણ સર્જયુ હતું. તો સાથોસાથ ચીન સરહદ ઉપરના ફિંગર એરિયા, ગોગરા પોસ્ટ અને ગલવાન ખીણ પ્રદેશમાં પણ ચીનના લશ્કરી થાણાની વર્તમાન જે સ્થિતિ છે ત્યાંથી પણ પાછળની તરફ દુર ખસી જવા ભારતે જણાવ્યું છે.
ભારત અને ચીનના કર્નલ સ્તરની બેઠક પૂર્વે ગત સપ્તાહે ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીનના વિદેશ પ્રધાનને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદ પર ઊભા થયેલો તણાવ ત્યારે જ દુર થશે જ્યારે સરહદને લઈને ચીન તેમની વાતને માનશે અને એપ્રિલ મહિનાની સ્થિતિએ જશે. જો કે બન્ને દેશના વિદેશ પ્રધાનોની વાતચીત બાદ પણ સૈન્ય પાછુ ખસ્યુ નહોતુ. પરિણામે ભારતે સૈન્ય તાકાતને વધુ મજબુત કરવાની સાથેસાથે કુટનિતીક ચાલ ચાલવાનું ભારતે ચાલુ રાખ્યું. જેના પરિણામ સૈન્યના કર્નલ સ્તરની બેઠકમાં જોવા મળ્યા.
પૂર્વ લદાખના ચુશુલ સેકટરમાં ચીનના પ્રદેશમાં આવેલ મોલ્દો ખાતે ભારત અને ચીન સૈન્યના કર્નલસ્તરની બેઠકમા, ચીન તરફથી ભારતને સતત અપીલ કરાઈ હતી કે સરહદ ઉપર ભારતે ઊભા કરાયેલા સૈન્ય તણાવને દુર કરવામાં આવે. લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં 15મી જૂને ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, ભારતે ચીન સાથે જોડાયેલી 3400 કિલોમીટર લાંબી સરહદ ઉપર સૈન્યને શસ્ત્ર સરંજામ સાથે તહેનાત કરવાનું શરૂ કરી દિધુ હતું. તો એરફોર્સે તેમના લડાકુ વિમાન દ્વારા દુર્ગમ પહાડી વિસ્તારોમાં આવેલી ભારતીય સરહદ ઉપર સતત હવાઈ નિરીક્ષણ કરવાનું શરુ કર્યુ હતું. જો કે ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ બાદ ઊભી થયેલ તંગદીલી દુર કરવા માટે, બેથી ત્રણ વાર મેજર જનરલસ્તરે પણ વાતચીત યોજાઈ હતી. અને તેમાં પણ ચીન તરફથી સરહદ ઉપર ઊભા થયેલ તણાવને દૂર કરવાની વાત કરવામાં આવી હતી. જે કોઈને કોઈ સંજોગોમાં ભારત દ્વારા કુટનિતીક ચાલનુ પરિણામ ગણાવાઈ રહ્યું છે.