
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉત્તરાખંડના હલ્દવાની કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમુદાયના યુવક અમિત કુમાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, FIRમાં રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો દર્શાવે છે કે, તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 અને 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુમાં, FIR માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની કલમ 3(1)(q) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મામલો હલ્દવાનીમાં કોંગ્રેસની રેલી પછી યોજાયેલા ‘શુદ્ધિકરણ વિધિ’ અને તેના અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી ઉદ્ભવ્યો છે. રાહુલ ગાંધીએ આ વિધિ પર સવાલ ઉઠાવ્યા હતા, તેને દલિત વિરોધી ગણાવી હતી. ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.
1. BNS ની કલમ 196: આ એક બિન-જામીનપાત્ર કલમ છે. તે બે સમુદાયો વચ્ચે નફરત, ઉશ્કેરવાના કેસોમાં લાગુ કરવામાં આવે છે. આ ધારા ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ જાતિ વિરુદ્ધ મોટું ષડયંત્ર ઘડવાનું કાવતરું ઘડે છે, અથવા બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, નફરત અથવા દુષ્ટતા પેદા કરવાનો પ્રયાસ કરે છે.
પોલીસ સામાન્ય રીતે સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના આરોપીઓ સામે આ કલમ લાગુ કરે છે. જો આ કલમ હેઠળ ગુનો સાબિત થાય છે, તો ગુનેગારને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા થઈ શકે છે.
2. BNS ની કલમ 299: આ પણ એક બિન-જામીનપાત્ર કલમ છે. આ કલમ એવી વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે લાગુ કરવામાં આવે છે જે ભાષણો, વીડિયોઝ અથવા લેખો દ્વારા ધર્મ અથવા સમુદાય વિરુદ્ધ હિંસા ઉશ્કેરે છે અથવા ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.
ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ગુજરાત સરકાર કેસમાં, સુપ્રીમ કોર્ટે 2025માં અવલોકન કર્યું હતું કે, જો કોઈ ભાષણની અસર ક્યાય પણ જોવા મળતી ના હોય, તો કોઈ એક વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચી છે તેને લઈને આ કલમ લાગુ કરી શકાતી નથી. આ કલમમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
3. SC/ST અધિનિયમ કલમ 3(1)(Q): અમિત દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે રાહુલ ગાંધી સામે SC/ST અધિનિયમની કલમ 3(1)(Q) હેઠળ FIR પણ નોંધવામાં આવી છે. આ કલમ ત્યારે લાગુ પડે છે જ્યારે-
કોઈ વ્યક્તિ દલિત અથવા આદિવાસી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ અથવા અધિકારીને જાણી જોઈને ખોટી માહિતી આપે છે,અને તેનાથી પોલીસ અથવા સત્તાવાર કાર્યવાહીનુ જોખમ હોય છે; આવા કિસ્સાઓમાં, આ કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી શકાય છે.
આ પણ બિન-જામીનપાત્ર ગુનો છે. દોષિત ઠેરવ્યા પછી, સજા ઓછામાં ઓછી છ મહિનાથી મહત્તમ પાંચ વર્ષની જેલની સજા સુધીની હોય છે.