
ઈ-રિક્ષા ચાલકોને આ દિવસોમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ચાલતા-ચાલતા ઈ-રિક્ષા અચાનક બંધ થઈ જાય છે અને ફરી સ્ટાર્ટ નથી થતી. ખાસ વાત એ છે કે, આ બધું કોઈ ખામી કે બેટરી ડિસ્ચાર્જ થવાના કારણે નથી થઈ રહ્યું.
નોંધનીય છે કે, આ બધું જ ચીની એપની મદદથી થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એવું પણ જોવા મળી રહ્યું છે કે, કેટલાક તોફાની તત્વો પોતાના કન્ટેન્ટને વાયરલ કરવા માટે દૂરથી જ ઈ-રિક્ષાને બંધ કરી રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે.
કેન્દ્ર સરકારે એવી બે મોબાઈલ એપ્સ સામે કાર્યવાહી કરી છે કે, જેનો ઉપયોગ ચાલતી ઈ-રિક્ષાને રસ્તાની વચ્ચે બંધ કરવા માટે કરવામાં આવતો હતો.
મામલાની જાણકારી મળ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે (MeitY) બંને એપ્સને ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) તેમજ એપલ એપ સ્ટોર (Apple App Store) પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
સરકારે BAT-BMS અને Epoch Li-ion નામની બે મોબાઈલ એપ્સને હટાવવાનો આદેશ આપ્યો છે. આ બંને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) એપ છે, જે બ્લૂટૂથ દ્વારા લિથિયમ-આયન બેટરી સાથે કનેક્ટ થઈને તેની દેખરેખ રાખે છે. જો કે, આ એપ્સના કંટ્રોલ ફીચરનો ખોટો ઉપયોગ કરીને કેટલાક લોકો ચાલતી ઈ-રિક્ષાને બંધ કરી રહ્યા હતા.
તોફાન કરનારા લોકો મોબાઈલમાં એપ ખોલીને આસપાસ રહેલી ઈ-રિક્ષાની બેટરી સાથે બ્લૂટૂથ કનેક્ટ કરતાં હતા. ત્યારબાદ એપમાં રહેલી Discharge Switch દબાવતા જ ઈ-રિક્ષાની બેટરીનો પાવર Cut થઈ જતો હતો અને વાહન રસ્તાની વચ્ચે જ રોકાઈ જતું હતું. ડ્રાઈવરને સમજાતું જ નહોતું કે, આખરે ઈ-રિક્ષા અચાનક કેમ બંધ થઈ ગઈ. એવામાં જ્યાં સુધી તે જ એપથી તેને ફરીથી ON ન કરવામાં આવે, ત્યાં સુધી વાહન ફરીથી ચાલુ થતું નહોતું.
MeitY ના સચિવ એસ. કૃષ્ણને પુષ્ટિ કરી છે કે, બંને એપ્સને એપ સ્ટોર્સ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે, આ પ્રકારની સંભવિત નુકસાન પહોંચાડનારી એપ્સ ભવિષ્યમાં સાર્વજનિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન રહે.
દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ એપ્સ મૂળભૂત રીતે બેટરીના વોલ્ટેજ, તાપમાન અને કરંટ જેવી માહિતીની દેખરેખ માટે બનાવવામાં આવી હતી. જો કે, જે બેટરી સિસ્ટમમાં પાસવર્ડ કે કોઈ પ્રકારનું ઓથેન્ટિકેશન (પ્રમાણીકરણ) નહોતું, ત્યાં કોઈ પણ વ્યક્તિ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ થઈને બેટરીનો પાવર બંધ કરી શકતી હતી. આ જ કારણસર ઈ-રિક્ષા અચાનક ઊભી રહી જતી હતી.
આવી સ્થિતિમાં ચાલતા વાહનનું અચાનક બંધ થઈ જવું એ માત્ર મુશ્કેલી જ નથી પરંતુ માર્ગ સુરક્ષાની દૃષ્ટિએ પણ મોટો ખતરો છે. રસ્તાની વચ્ચે ઈ-રિક્ષા રોકાઈ જવાથી અકસ્માતની સંભાવના વધી શકે છે. આ જ કારણ છે કે, સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને બંને એપ્સ પર કાર્યવાહી કરી છે.
Published On - 8:00 pm, Fri, 3 July 26