
ભારતમાં વિવિધ સમાજમાં લગ્નને લઈને અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાક સમાજમાં બહુપત્નીત્વ (બહુવિવાહ) નિષેધ છે, જ્યારે અન્ય સમાજમાં આ સામાન્ય બાબત છે. હવે આસામ રાજ્યએ એક કરતાં વધુ લગ્ન કરનારાઓના સંબંધમાં એક મોટો નિર્ણય લીધો છે.
આસામના નાણા મંત્રી જયંત મલ્લા બરુઆએ શુક્રવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27નું રાજ્યનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં રોજગાર નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બજેટમાં એક પ્રસ્તાવ મૂક્યો છે.
એક કરતાં વધુ લગ્ન કરનારા લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે નહીં. આ સાથે જ, એક કરતાં વધુ લગ્ન કરનારા સરકારી કર્મચારીઓને પણ સેવામાંથી બરતરફ કરી શકાશે.
આસામના નાણા મંત્રી જયંત મલ્લા બરુઆએ કહ્યું, ‘કલ્યાણકારી યોજનાઓનો લાભ માત્ર યોગ્ય લાભાર્થીઓ સુધી જ પહોંચવો જોઈએ એટલું જ નહીં પરંતુ સમાજમાં સર્વસમાવેશકતા, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોને પણ પ્રોત્સાહન મળવું જોઈએ. મહિલાઓને સશક્ત બનાવવા અને લિંગ ન્યાય (જેન્ડર જસ્ટિસ) ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી, બહુવિવાહ પ્રથાનું પાલન કરનાર કોઈ પણ પુરુષ રાજ્ય સરકારની કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં.’
બજેટમાં આસામ સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1964માં સુધારાનો પણ પ્રસ્તાવ છે. આ સુધારા અનુસાર, જો કોઈ સરકારી કર્મચારી બહુવિવાહનો દોષી જણાશે, તો તેને કાયદા અનુસાર સરકારી સેવામાંથી બરતરફ કરી શકાય છે.
બરુઆએ જણાવ્યું હતું કે, “પ્રામાણિકતા અને જવાબદાર નાગરિકત્વને પ્રોત્સાહન આપવા માટે કોઈ પણ ફોજદારી કાયદા હેઠળ દોષિત ઠરેલી વ્યક્તિને સૂચિત સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે નહીં.”
જયંત મલ્લા બરુઆએ કહ્યું, ‘ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયમિત બજેટ રજૂ ન થવાને કારણે ઘણી કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર અસર પડી હતી. હવે સરકાર ઓગસ્ટ મહિનાથી આ યોજનાઓ ફરી શરૂ કરશે. આ યોજનાઓ માટે વિવિધ વિભાગો હેઠળ 6000 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવશે.’