દિલ્હી મેટ્રોને દિલ્હીની લાઈફલાઇન ગણવામાં આવે છે. 24 ડિસેમ્બર 2002 ના રોજ દિલ્હી મેટ્રોનો પ્રારંભ થયો હતો. દિલ્હી મેટ્રોના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે. મેટ્રોના સંચલન માટે દિલ્હી મેટ્રો પાસે નાણા નથી.દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન – DMRCએ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને પત્ર લખી આર્થિક મદદ માંગી છે.
દિલ્હી મેટ્રો પર આવેલું સંકટ ‘અભૂતપૂર્વ’
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર મંગુસિંહે કહ્યું કે દિલ્હી મેટ્રો પાર આવેલું આવું આર્થિક સંકટ પહેલા ક્યારેય નથી આવ્યું. આ આર્થિક સંકટને કારણે દિલ્હી મેટ્રોએ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશનને ચૂકવવાની થતી લોન અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ અભૂતપૂર્વ સંકટમાંથી બહાર આવવા માટે અમે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર પાસે આર્થિક મદદ માંગી છે.
ઉત્તરપ્રદેશ અને હરિયાણા પાસે પણ મદદની માંગણી
દિલ્હી મેટ્રોની સેવા નેશનલ કેપિટલ રિજન ઉપરાંત ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ અને નોઇડામાં તેમજ હરિયાણાના ગુરુગ્રામ, ફરિદાબાદ, વલ્લભગઢ અને બહાદુરગઢમાં પણ ઉપલબ્ધ છે. મેનેજિંગ ડિરેક્ટર મંગુસિંહે અમે ઉત્તરપ્રદેશ અને હરિયાણા સરકાર પાસે પણ મદદ માંગી છે. અમને આશા છે કે આ બંને રાજ્યો આર્થિક મદદ કરશે.
દિલ્હી મેટ્રો પર આર્થિક સંકટના કારણો
કોરોના મહામારી અને લોકડાઉન એ દિલ્હી મેટ્રો પર આવેલા આર્થિક સંકટના મુખ્ય કારણો છે. લોકડાઉન બાદ અનલોકમાં સોશિયલ ડિસ્ટન્સના કારણે દિલ્હી મેટ્રોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આ ઉપરાંત કોરોનાના સંક્રમણના ભયના કારણે યાત્રીઓની સંખ્યા ઓછી થતાં પાર્કિંગ અને દુકાનોની આવક પણ ઘટી છે. આવકમાં ઘટાડો થતાં ભાડા પર ચાલતી ઘણી દુકાનો બંદ થઈ ગઈ છે.