હિન્દુ ધર્મમાં એક વિવાહિત સ્ત્રી પોતાના સેંથામાં સિંદૂર ભરે છે, ગળામાં મંગળસૂત્ર પહેરે છે. ઘરેણાં, ચાંદલો અને પગના વિંછિયા આ બધી વસ્તુઓને સુહાગની નિશાની માનવામાં આવે છે. અલગ અલગ જાતીઓમાં આ રિવાજ થોડા અલગ હોય શકે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત જ છે કે જ્યાં સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વિવિધ ઉપવાસ અને વ્રત કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક સમુદાય એવું પણ છે કે જ્યાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વિધવા બનીને રહે છે ? જીહાં તમે બરાબર વાંચ્યું ભારતમાં એવા પણ સમુદાયો છે, જેમાં આ પ્રકારની પ્રથા ચાલતી આવી છે આજે અમે તમને એ પ્રથા વિશે જ માહિતગાર કરીશું.
આ મહિલાઓ પૂર્વી ઉત્તર પ્રદેશના દેવરિયા, ગોરખપુર, કુશીનગર સાથે પાડોશી રાજ્ય બિહારના કેટલાક જિલ્લાઓની છે. ગછવાહા સમુદાયની આ મહિલાઓ પોતાના પતિની સલામતી માટે દર વર્ષે ત્રણથી પાંચ મહિના સુધી વિધવા તરીકેનું જીવન જીવે છે. આ પ્રથાનું પાલન ત્યાંની મહિલાઓ સદીઓથી કરે છે.
પુરુષોના કામમાં હોય છે જીવનું જોખમ
ગછવાહા સમુદાયના પુરુષો વર્ષના પાંચ મહિના અને એમાં પણ ખાસ કરીને મેથી જુલાઇ સુધીના ત્રણ મહિના તાડી ઉતારવાનું કામ કરે છે. તેની કમાણીથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તાડના ઝાડ પરથી તાડી ઉતારવાનું કામ ખૂબ જોખમ ભર્યુ છે. 50 ફીટથી વધુ ઉંચાઇ પરથી તાડી ઉતારવા દરમિયાન કેટલીક વાર વ્યક્તિનો જીવ પણ જતો રહે છે.
તાડી ઉતારવાની આ ઋતુ દરમિયાન મહિલાઓ પોતાના પતિની સલામતી માટે દેવરિયાથી ત્રણ કિલોમીટર દૂર ગોરખપુર જિલ્લામાં સ્થિત તરકુલહાં દેવીના મંદિરમાં ચૈત્ર માસ દરમિયાન પોતાના સુહાગની નિશાનીઓ ચઢાવે છે અને પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે.
આ ત્રણથી પાંચ મહિનાનો સમય આ મહિલાઓ ઘરમાં વિધવા રહીને વિતાવે છે. તાડી ઉતારવાનો સમય પૂર્ણ થયા બાદ તરકુલહાં દેવી મંદિરમાં ગછવાહા સમુદાયની મહિલાઓ નાગ પંચમીના દિવસે એકત્રિત થઇને પૂજા કર્યા બાદ સામૂહિક ગોઠનું આયોજન કરે છે. જેમાં વિવાહીત તરીકે તે શ્રુગાંર કરે છે અને ખાવા પીવાનું આયોજન કરીને મંદિરમાંથી આશિર્વાદ લઇને ખુશી ખુશી પોતાના ઘરે પરત ફરે છે.