Corona Effect :બિહારમાં કોરોનાના ઝડપથી વધી રહેલા સંક્રમણને પગલે સરકારે કોરોના નિયમોને (Corona Guidelines) વધુ કડક બનાવવામાં આવ્યા છે. બિહારના ઘણા જિલ્લાઓમાં જ્યાંથી ગંગા વહે છે, ત્યા જિલ્લા પ્રશાસન દ્વારા મકરસંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મળતા અહેવાલ મુજબ, આ જિલ્લાઓમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ બાદ સરકારે આ નિર્ણય કર્યોો છે.
તમને જણાવી દઈએ કે, બિહારના બક્સર, બેગુસરાય અને ભોજપુર, વૈશાલીમાં સ્થાનિક પ્રશાસને ગંગામાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિના તહેવાર નિમિતે બક્સરના રામરેખા ઘાટ અને બેગુસરાયમાં સિમરિયા ઘાટ પર લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જેથી કોરોના સંક્રમણનું જોખમ વધી જવાના ડરથી વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિના તહેવારમાં નદી સ્નાનનું વિશેષ મહત્વ છે, તેથી જ કડકડતી ઠંડીમાં પણ ભક્તો સ્નાન કરવા ગંગા કિનારે પહોંચે છે. પરંતુ આ વખતે પ્રશાસને કોરોનાના જોખમને પગલે લોકોને ઘરે જ નહાવાની અપીલ કરી છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા બિહારના ભોજપુરમાં ગંગા અને સોન નદીમાં સ્નાન અને મેળા-પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે જિલ્લા મેજીસ્ટ્રેટે સ્થાનિક પ્રશાસનને આ આદેશનું પાલન કરાવવાની જવાબદારી સોંપી છે. DM એ તમામ SDOને કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવા જણાવ્યુ છે. સાથે જ ગંગા અને સોન નદીની નજીકના મુખ્ય ઘાટો પર બેરિકેડિંગ કરીને નજર રાખવા જણાવવામાં આવ્યુ છે. ત્યારે હાલ તહેવારો પર તંત્ર એલર્ટ જોવા મળી રહ્યુ છે.
વહીવટીતંત્રને રામરેખાઘાટ અને નાથ બાબા ઘાટ સહિત આઠ સ્થળો પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ઘાટ પર અવરજવર રોકવા માટે બેરિકેડિંગ કરીને પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ સારણમાં પણ ડીએમએ મકરસંક્રાંતિ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને ગંગા સ્નાન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે વૈશાલીમાં ગંગા અને ગંડકના કિનારે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોના પ્રતિબંધ વચ્ચે તમિલનાડુમાં શરૂ થયું Jallikattu, જુઓ વીડિયો, જાણો કેમ રમાય છે આ ખતરનાક રમત
આ પણ વાંચો : દેશમાં કોરોના બ્લાસ્ટ : છેલ્લા 24 કલાકમાં 2.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા, ઓમિક્રોનની રફ્તાર પણ યથાવત