Earthquake: લદ્દાખની ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.

Earthquake: લદ્દાખની ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Earthquake in Ladakh (File Photo)
| Edited By: | Updated on: Jan 22, 2022 | 7:32 AM

Earthquake:  કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારગીલથી 169 કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ 2.53 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) જણાવ્યુ કે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

 

ભૂકંપનો સિલસિલો યથાવત

તમને જણાવી દઈએ કે, લદ્દાખ પહેલા આ અઠવાડિયાની શરૂઆતમાં મણિપુરના (Manipur) ચુરાચંદપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ 7.52 વાગ્યે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. જો કે, આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. નેશનલ સેન્ટરે જણાવ્યુ હતુ કે, મિઝોરમના નાગોપાથી 46 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં ચુરાચંદપુરમાં આંચકા અનુભવાયા હતા.

તે જ દિવસે અરુણાચલ પ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં આવેલા બસરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે સવારે 4:30 વાગ્યે આંચકા અનુભવાયા હતા.

કેવી રીતે બચાવ કરવો ?

ડિઝાસ્ટર કીટ બનાવો જેમાં રેડિયો, મોબાઈલ, જરૂરી કાગળો, ટોર્ચ, માચીસ, ચપ્પલ, મીણબત્તી, થોડા પૈસા અને જરૂરી દવાઓ હોય. ભૂકંપ આવે તો તરત જ વીજળી અને ગેસ બંધ કરો. આટલું જ નહીં લિફ્ટનો ઉપયોગ પણ બિલકુલ ન કરો. જ્યારે પણ આંચકા અનુભવાય, તરત જ ખુલ્લા વિસ્તારમાં દોડી જાઓ અને ઝાડ અને પાવર લાઇનથી દૂર રહો.

ભૂકંપના આંચકા કેવી રીતે માપવામાં આવે છે ?

ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે. ધરતીકંપની ક્ષણની તીવ્રતા અપ્રચલિત રિક્ટર મેગ્નિટ્યુડ દ્વારા માપવામાં આવે છે. 3 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્ય છે, જ્યારે 7 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડે છે. ભૂકંપ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કરતું, પરંતુ તે ઈમારતો, રસ્તાઓ, ડેમ અને પુલ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : સરહદ પર આતંકવાદી ષડયંત્ર: BSFએ જમ્મુ-કાશ્મીરમાં વધારી સુરક્ષા, ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળ એલર્ટ