દરવર્ષની જેમજ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ ઉલ્લાસ અને ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવશે. જો કે કોરોના વાયરસની મહામારી વચ્ચે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં અનેક પ્રકારનાં પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે.આ સંદર્ભે ગૃહમંત્રાલય દ્વારા વિવિધ દિશા-નિર્દેશ જારી કર્યા છે.
મંત્રાલયે સ્વતંત્રતા દિવસ મનાવવા દરમિયાન ચોક્કસ નિયમોનાં પાલન કરવાની સૂચના આપી છે, જેમ કે સોશિયલ ડિસટન્સ, માસ્ક પહેરવું, સેનેટાઈઝેશન, મોટી સંખ્યામાં ભેગુ થવું વગેરે તેમાં સામેલ છે. ગૃહ મંત્રાલય અને આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવીડ-19 સંબંધિત તમામ દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
મંત્રાલય મુજબ સવારે 9 કલાકે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, રાષ્ટ્રગીત વગાડવામાં આવશે, વડાપ્રધાન દ્વારા સ્વતંત્રતા દિવસ સંદર્ભે ભાષણ પણ હશે જે પછી આકાશમાં ફુગ્ગાઓને છોડવામાં આવશે. 15 ઓગસ્ટની બપોરે રાષ્ટ્રપતિ ભવનમાં જે એટ હોમ કાર્યક્રમ થાય છે તે આ વખતે નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ વખતની સ્વતંત્રતા દિવસની થીમને કોવીડ વોરીયર્સને સમર્પિત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત રાજ્યને 15 ઓગસ્ટને લઈ ગાઈડલાઈન્સ મોકલી દેવામાં આવી છે કે જેમાં રાજધાની, જિલ્લા અને બ્લોક સ્તર પર કેવી રીતે કાર્યક્રમ કરી શકાશે.