Delhi: PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા CM ભગવંત માન, પંજાબને લગતા અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

સીએમ ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રથમ નિર્ણય હેઠળ પોલીસ વિભાગની 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Delhi: PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા CM ભગવંત માન, પંજાબને લગતા અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા
Punjab CM Bhagwant Mann meets PM Modi (File Image)
| Edited By: | Updated on: Mar 24, 2022 | 1:57 PM

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann) આજે એટલે કે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળવા પહોંચ્યા છે. પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે. સીએમએ ટ્વીટ કર્યું હતું કે તેમણે પીએમ અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળવા અને પંજાબ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 117માંથી 92 બેઠકો જીતી છે.

પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સીએમ ભગવંત માન એક્શનમાં દેખાય છે. તેમણે બુધવારે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો હતો, જ્યાં લોકો લાંચ માંગતા અને અન્ય ગેરરીતિઓમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓને લગતા વીડિયો શેયર કરી શકે છે. માને શહીદ દિવસના અવસર પર હેલ્પલાઈન નંબર જાહેર કર્યો અને તેને “ભ્રષ્ટાચાર વિરોધી એક્શન લાઈન” તરીકે ઓળખાવ્યો.

આ દરમિયાન સીએમ માને એક વીડિયો સંદેશમાં કહ્યું, “મેં તમને વચન આપ્યું હતું કે 23 માર્ચે, હું એક ફોન નંબર જાહેર કરીશ, જેનું નામ ‘એન્ટી કરપ્શન એક્શન લાઈન’ હશે. આ નંબર છે- 9501200200.” તેમણે જનતાને કહ્યું કે જો કોઈ લાંચ માંગે તો તેનો વીડિયો આ નંબર પર મોકલો. માને કહ્યું, “અમારો સ્ટાફ વીડિયોની તપાસ કરશે અને જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પછી તે અધિકારીઓ હોય, અમારા મંત્રીઓ કે ધારાસભ્યો હોય. આ અભિયાનમાં મારે ત્રણ કરોડ પંજાબીઓની જરૂર છે. જો તમે સાથ આપો તો અમે એક મહિનામાં પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવી દઈશું.

CM માને 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી

સીએમ ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રથમ નિર્ણય હેઠળ પોલીસ વિભાગની 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે પ્રથમ બેઠક યોજ્યા બાદ એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે આ નોકરીઓ માટે જાહેરાત અને સૂચનાની પ્રક્રિયા એક મહિનાની અંદર શરૂ કરવામાં આવશે. “આગામી દિવસોમાં અમે અમારી બાકીની ગેરંટી (ચૂંટણીના વચનો) પણ પૂર્ણ કરીશું,” આ પછી સીએમ ભગવંત માને મંગળવારે ગ્રુપ સી અને ગ્રુપ ડીના લગભગ 35 હજાર હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 41 અરજીઓ પર ચર્ચા કરાઈ, 6માં પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરનો હુકમ

આ પણ વાંચો: Women’s World Cup 2022 : ભારતીય ટીમ માત્ર 2 રીતે સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકે છે, નહીં જીતે તો પણ થશે કામ