દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે MCD ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે, કેજરીવાલે કહ્યુ કે, એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 230 સીટો જીતશે. ભાજપના ખાતામાં 20થી ઓછી બેઠકો આવશે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો અહીંની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે, તો નિવાસી કલ્યાણ સંઘને સશક્ત બનાવવામાં આવશે અને મિની-કાઉન્સિલરનો દરજ્જો આપવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીના થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે કહ્યું કે આ અભિગમનો ઉદ્દેશ્ય જનતાને દિલ્હીના માલિક બનાવવાનો છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું, આજે અમે કહેવા માંગીએ છીએ કે જો નગરપાલિકાની ચૂંટણીઓ પછી AAP MCDમાં સત્તામાં આવશે, તો અમે ખરેખર RWAsને સશક્ત બનાવીશું. અમે તેમને રાજકીય અને નાણાકીય અધિકારો આપીશું. તેમણે કહ્યું કે દિલ્હીમાં RWAને ‘મિની કાઉન્સિલર’નો દરજ્જો આપવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 250 વોર્ડ છે અને તેના માટે 4 ડિસેમ્બરે મતદાન થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં AAP, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થશે અને મતગણતરી 7 ડિસેમ્બરે થશે.
આ પહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. AAP આ વખતે MCDમાં 230થી વધુ સીટો જીતશે. દિલ્હી સરકારની સાથે અરવિંદ કેજરીવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રહેશે.
તેમણે કહ્યું કે 4 ડિસેમ્બરે દિલ્હીની જનતા સાવરણીનું બટન દબાવીને માત્ર દિલ્હીનો કચરો સાફ નહી કરે, પરંતુ ભાજપના નેતાઓના મનનો કચરો પણ સાફ કરશે. છેલ્લા 15 વર્ષમાં બીજેપીએ દિલ્હીની 15 ગલીઓ પણ સાફ કરી નથી. હવે લોકો કહી રહ્યા છે કે અમે કેજરીવાલને વોટ આપીશું. આમ આદમી પાર્ટી ગુજરાત અને MCD ચૂંટણી જીતી રહી છે, તેથી જ અરવિંદ કેજરીવાલ તમામ પક્ષોના નિશાના પર છે.
દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે અને ચૂંટણીમાં દરેક પોતાની જીતના દાવા કરી રહ્યા છે. સત્તાધારી આમ આદમી પાર્ટી સામે પોતાનો ચહેરો બચાવવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપ પણ પુનરાગમન કરવા આતુર છે. MCDમાં કયો પક્ષ જીતશે તે 7 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે.
Published On - 5:19 pm, Tue, 29 November 22