સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે સુરક્ષા દળોને કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે શોર્ટ નોટિસ પર તૈયાર રહેવા જણાવ્યું હતું. સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન સરહદ પર સતત પોતાની ગતિવિધિઓ વધારી રહ્યું છે. એરફોર્સની ત્રણ દિવસીય અર્ધવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. આ સંમેલનમાં રાજનાથ સિંહે વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી.
લદ્દાખ સેક્ટર અને ઈસ્ટર્ન સેક્ટરમાં LAC પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને તરફથી સરહદ પર સૈન્ય ગતિવિધિઓની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. છેલ્લા 18 મહિનાથી લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે અને તે ઓછી થઈ રહી નથી. સંરક્ષણ મંત્રીએ વાયુસેનાની ઉચ્ચ સ્તરીય સજ્જતા અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં શોર્ટ નોટિસ પર તૈયાર રહેવાની તેની ક્ષમતાની પ્રશંસા કરી હતી.
કમાન્ડરોને સંબોધતા, વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ ઝડપથી જવાબ આપવા માટે અનેક સ્તરે ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જો ભારત વિરૂદ્ધ કોઈ ગતિવિધિ થશે તો આપણે જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ. આઈએએફના વડાએ આર્મી અને નેવી સાથે સંયુક્ત કવાયતની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી ભારત ભવિષ્યના યુદ્ધો માટે તૈયાર થઈ શકે. રક્ષા મંત્રીએ આ અંગે કહ્યું કે, આ અંગે વિચાર ચાલી રહ્યો છે અને તમામ લોકો સાથે વાતચીત ચાલી રહી છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે, જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (DMA)નું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે ત્રણેય સેવાઓને થિયેટર કમાન્ડની તૈયારીનો અભ્યાસ કરવા અને છ મહિનામાં તેમનો વિગતવાર અહેવાલ મોકલવા જણાવ્યું છે. અહેવાલો સબમિટ કરવાની અંતિમ તારીખ સપ્ટેમ્બર 2022 થી એપ્રિલ 2022 સુધી લંબાવવામાં આવી છે. ચીન સતત પોતાની હરકતો અટકાવી રહ્યું નથી અને સરહદ પર ઉશ્કેરણી કરી રહ્યું છે. તે સતત સરહદ પર પોતાની સૈન્ય તાકાત વધારવામાં વ્યસ્ત છે. આ સાથે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. બીજી તરફ તે પાકિસ્તાનને સૈન્ય મદદ કરવામાં પણ વ્યસ્ત છે.