બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર, ડીપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે. અને આવતીકાલ સોમવાર 24મી મેના રોજ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ જશે. અને બંગાળની ખાડીમાં આગળ વધીને, આગામી મંગળવાર 25 મે કે બુધવાર 26મી મેના રોજ ભારે ચક્રવાત સ્વરૂપે ઉતર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકે તેવી સંભાવના છે.
બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરીસ્સા કે પશ્ચિમ બંગાળમાં ત્રાટકનારા ચક્રવાતને યાસ ( Cyclone Yaas )નામ આપવામાં આવ્યુ છે. યાસ વાવાઝોડાને પગલે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે સમિક્ષા બેઠક યોજી હતી.
કોરોના મહામારીના સમયે ત્રાટકનારા યાસ વાવાઝોડાને ( Cyclone Yaas) કારણે સારવાર લઈ રહેલા દર્દીઓને સારવારમાં કોઈ વિક્ષેપ ઉભો ના થાય તે માટે યોગ્ય પગલા લેવાની તાકીદ કરવામાં આવી છે. વાવાઝોડુ યાસ સંભવિત જે સ્થળે ત્રાટકવાનું છે તે સ્થળના દરિયા કિનારે વસતા લોકોને સાવચેતી માટે સ્થળાંતર કરાવવા ઉપર પણ ભાર મૂકવા જણાવાયુ છે.
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, યાસ વાવાઝોડુ ( Cyclone Yaas) આગામી 25 અને 26 મી મેના રોજ તેની અસર વર્તાવશે. ખાસ કરીને ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળ રાજ્યના દરિયાકાઠા વિસ્તારમા તોફાની પવન સાથે ભારે વરસાદ પડશે. જ્યારે યાસ વાવાઝોડુ જ્યા ત્રાટકશે ત્યાં 185 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની સાથે ભારે વરસાદ પણ વરસશે. જો કે હજુ દરિયામાં રહીને યાસ વાવાઝોડુ વધુ તીવ્ર બની શકે છે.
દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( pm modi ) અધ્યક્ષતામાં યોજાયેલી સમિક્ષા બેઠકમાં રાજ્યો સરકારને જોઈતી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. વાવાઝોડાની ગતીવિધી ઉપર ગૃહ મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે. અને વાવાઝોડા યાસની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે.
બંગાળની ખાડીમાં દર વર્ષે માર્ચના અંતથી જૂન મહિના દરમિયાન વાવાઝોડુ સર્જાતુ હોય છે. આ વાવાઝોડાની ઘણીવાર નૈઋત્યના ચોમાસા ઉપર પણ અસર વર્તાતી હોય છે. જો વાવાઝોડુ, ચોમાસુ બેસી ગયા પહેલા આવે તો તે, નૈઋત્યનુ ચોમાસુ બેસવાનુ સમયપત્રક ખોરવી નાખે છે. અને ઘણીવાર નૈઋત્યનું ચોમાસુ બેસવાની સાથેસાથે આવે તો દેશના અન્ય ભાગમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ પણ થઈ જતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાંથી ઉદભવેલ વાવાઝોડુ તાઉ તે એ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે નુકસાન પહોચાડ્યુ હતું. તાઉ તે વાવાઝોડુ પણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક ત્રાટક્યુ હતું. જેના કારણે ગીર સોમનાથ જિલ્લામાં, જાનમાલનું પારાવાર નુકસાન થયુ હતું. ખાસ કરીને ઉર્જા, કૃષિ, મતસ્યોદ્યોગ, બાગાયત પાકને બહુ જ નુકસાન થવા પામ્યુ હતું.
Published On - 8:35 pm, Sun, 23 May 21