બંગાળની ખા઼ડીમાં (Bay Of Bengal) સર્જાયેલું ચક્રવાતી તોફાન અસાની આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) કાકીનાડાથી આશરે 300 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સર્જાયું છે અને આજે તે ધીરે ધીરે નબળું પડશે. જોકે આ ચક્રવાતની અસર રૂપે 105 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ સંલગ્ન રાજ્ય સરકાર સંભવિત કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર થઈ ગઈ છે.
આઈએમડીએ જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠા નજીક જવાની શક્યતા છે અને ફરીથી પાછું વળીને તે ઉત્તર આંધ્રપ્રદેશ તથા ઓડિશાના તટના સમાંતર આગળ વધશે. છેલ્લા પાંચ -છ કલાકમાં વાવાઝોડું પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ – ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યે ચક્રવાત કાકીનાડાથી 300 કિમી દક્ષિણ પૂર્વમાં વિશાખાપટ્ટનમથી 330 કિમી દક્ષિણ -દક્ષિણ પૂર્વમાં ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં અને પુરીથી 590 કિલોમીટર દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું.
હવામાન વિભાગ અસાનીને સંલગ્ન 20થી વધુ બુલેટિન બહાર પાડી ચૂક્યું છે. આ માહિતીને જોતા એર ઈન્ડિયા અને ઈન્ડિગો સહિત ઘણી એરલાઈન્સે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી પોતાની ઉડાનો રદ કરી છે.
અસાનીને કારણે દક્ષિણ બંગાળની ખાડીના સમુદ્રમાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. તેને લીધે માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે અને સમુદ્ર નજીકના પર્યટનને 13 મે સુધી બંધ રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. આ દરમિયાન ખુર્દા, ગંજામ, પુરી, કટક અને ભદ્રક જિલ્લામાં બેથી ત્રણ વાર વરસાદ થયો છે. તો કોલકાતાના હાવડા, પુરબા મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા તથા નાદિયા જિલ્લા સહિત પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં ગુરૂવાર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે તો કોલકાત્તામાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ ઉડ્યન વિભાગ સીઆઈએસએફ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ, એરલાઈન્સના અધિકારીઓ અને હવામાન વિભાગની સંયુકત બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેથી ચક્રવાતની પરિસ્થિતિમાં સૂચારૂ સંચાલન થઈ શકે. કોલકાતા એરપોર્ટ ઉપર અમ્ફાન તથા યાસ વાવાઝોડાના અનુભવને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડે તો નજીકના હવાઇમથકે ફ્લાઇટને ડાઈવર્ટ થાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.