મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ (Shri Krishna Janmabhoomi Case) પર એડવોકેટ રંજના અગ્નિહોત્રી સહિત છ કૃષ્ણ ભક્તોના દાવાને સ્વીકારવા અથવા તો નકારવા અંગે કોર્ટ ગુરુવારે નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે આ કેસની સુનાવણી રિવિઝન તરીકે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહી છે. જેમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ (Place of Worship Act) લિમિટેશન એક્ટ સહિતના અન્ય મુસ્લિમ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. જો કોર્ટ આ દાવો સ્વીકારે તો ASI સર્વેનો રસ્તો પણ મોકળો થઈ જશે અને સિવિલ જજ સિનિયર ડિવિઝન કે અન્ય કોર્ટમાં ચાલી રહેલા અન્ય કેસો પણ મજબૂત બનશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસમાં એડવોકેટ રંજના અગ્નિહોત્રી સહિત 6 કૃષ્ણભક્તોની અરજી રિવિઝન તરીકે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહી છે.
અગાઉ નીચલી કોર્ટે તેમની અરજી ફગાવી દેતા કહ્યુ હતુ કે, તમે ન તો સ્થાનિક છો અને ના તો ટ્રસ્ટ કે સંસ્થાના સભ્ય છો, આ રીતે દરેક કૃષ્ણ ભક્ત પિટિશન દાખલ કરશે તો કાયદો અને વ્યવસ્થા તૂટી જશે. જે બાદ વાદીએ આ અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રિવિઝન તરીકે મૂકી હતી અને આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ડિવિઝન તરીકે ચાલી રહી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ સેવા સંસ્થાન, શાહી ઇદગાહ મસ્જિદ, અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પોતાનું સ્ટેન્ડ રજુ કર્યુ છે.
છેલ્લી તારીખે સુનાવણી પૂર્ણ થયા બાદ જિલ્લા ન્યાયાધીશની અદાલતે આ નિર્ણય અનામત રાખ્યો હતો. 19 મેના રોજ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ આ કેસની સ્વીકૃતિ અને બરતરફી અંગે નિર્ણય કરશે. જો અરજદારની તરફેણમાં ચુકાદો આવશે તો સર્વેનો રસ્તો પણ મોકળો થશે.
સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ સહિત અન્ય દાવાઓની સુનાવણીની તારીખ 1 જુલાઈ આપવામાં આવી છે. એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહના દાવા પર સુનાવણી 1 જુલાઈના રોજ થવાની છે અને તે દરમિયાન સર્વેની માંગ પર પણ સુનાવણી થશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન મુક્ત કરવા અને શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા માટે અત્યાર સુધીમાં 11 દાવાઓ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે.