દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ મહાઅભિયાન (Corona Vaccination) પૂરજોશમાં શરૂ છે. પહેલા ફ્રન્ટ લાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. 21 જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 9,99,065 લોકોને કોરોના વેક્સિન આપી દેવાઈ છે. આજે આખા દિવસ દરમિયાન દેશભરમાં રસીકરણના 18,159 સત્ર યોજાયા હતા. આજે દેશમાં 27 રાજ્યો-સંઘપ્રદેશોમાં રસીકરણ સત્ર યોજાયા હતા.
આજે કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આંધ્રપ્રદેશમાં 15,507, બિહારમાં 15,798, હરિયાણામાં 15,491, હિમાચલમાં 695 અને જમ્મુ કાશ્મીરમાં 2,408 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી. રિપોર્ટ અનુસાર રસીકરણ દરમિયાન રસી લીધેલા લોકોમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયાના સમાચાર સામે નથી આવ્યાં. આ ઉપરાંત રસીકરણની વિપરીત અસરનો કોઈ કેસ સામે આવ્યો નથી.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના ગઢમાં રસીકરણ મહાઅભિયાન ગાબડાં પાડી રહ્યું છે. એમણે કહ્યું કે આ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે કેટલાક લોકો રાજકીય કારણોથી રસીકરણ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. એમણે કહ્યું અફવાઓને કારણે એક નાનકડા સમૂહમાં વેક્સિનને લઈને ભય ઊભો થયો છે. એમણે કહ્યું કે આ સ્પષ્ટ છે કે કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પ્રભાવી પણ છે. વધુમાં એમણે કહ્યું થોડા-ઘણા સાઈડ ઇફેક્ટ કોઈ પણ રસી લીધા બાદ આવે જ છે.