
દેશમાં કૅન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી જરૂરી દવાઓ દર્દીઓને વધુ કિંમતે મળી શકે છે.
હાલમાં દેશના અનેક હોસ્પિટલોમાં આ દવાઓનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. દવા ઉત્પાદકોનું કહેવું છે કે કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થતા ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. પરિણામે કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું અથવા બંધ કરવાની ચેતવણી આપી હતી.
માહિતી મુજબ, દવા ઉત્પાદકો લાંબા સમયથી સરકાર સમક્ષ વધતા ઉત્પાદન ખર્ચનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. કાચા માલ, પરિવહન અને ઉત્પાદન સંબંધિત ખર્ચ વધતા કંપનીઓ માટે જૂના દરે દવાઓ બનાવવી મુશ્કેલ બની રહી હતી. સરકારે કુલ 82 દવાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં કૅન્સરની સારવાર માટે અત્યંત જરૂરી ગણાતી સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે.
દવાઓના ભાવ વધતા હવે કીમોથેરાપીનો કુલ ખર્ચ પણ વધી શકે છે. અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો પહેલેથી જ સારવારના ભારે ખર્ચનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દવાઓ મોંઘી બનવાથી આર્થિક બોજ વધુ વધી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે કેટલીક જગ્યાએ દવાઓની અછતને કારણે સારવારમાં વિલંબ થવાની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. જો જરૂરી દવાઓ સમયસર ન મળે તો દર્દીઓની સારવાર પર સીધી અસર પડી શકે છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ દવાઓની સતત ઉપલબ્ધતા જાળવવાનો હોવાનું સરકારનું કહેવું છે. જોકે દર્દીઓ અને તેમના પરિવાર માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધતા ખર્ચ વચ્ચે સારવાર કેવી રીતે ચાલુ રાખવી. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે દવાઓ ઉપલબ્ધ રહે તે જરૂરી છે, પરંતુ સાથે સાથે દર્દીઓ પર વધતા આર્થિક બોજને ઘટાડવા માટે પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે.
Published On - 9:59 pm, Wed, 10 June 26