Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

મળતી માહિતી મુજબ આ બજેટ સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે
Parliament Budget Session - File Photo
| Edited By: | Updated on: Jan 14, 2022 | 3:28 PM

સંસદનું બજેટ સત્ર (Budget Session of Parliament) 31મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી મહિનાની પહેલી તારીખે એટલે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કરશે. મળતી માહિતી મુજબ આ બજેટ સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોએ માહિતી આપી છે કે આ વર્ષના બજેટથી સામાન્ય માણસને ઘણી રાહત મળવાની આશા છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ બંને ગૃહોને રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે આ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર એવા સમયે શરૂ થઈ રહ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોની વિવિધ સેવાઓ સાથે જોડાયેલા લગભગ 400 કર્મચારીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે રાજ્યસભા સચિવાલયના 65 કર્મચારીઓ, લોકસભા સચિવાલયના 200 કર્મચારીઓ અને સંલગ્ન સેવાઓના 133 કર્મચારીઓ 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી વચ્ચે નિયમિત કોવિડ ચેકઅપ દરમિયાન સંક્રમિત જણાયા હતા.

સંસદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે બજેટ સત્રનું આયોજન

સંસદમાં કોરોના વિસ્ફોટ પછી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ અધિકારીઓને આગામી બજેટ સત્ર સુરક્ષિત રીતે ચલાવવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. બિરલા અને નાયડુએ બંને ગૃહોના મહાસચિવોને કોવિડ રોગચાળાની પરિસ્થિતિનો વિગતવાર વિચાર કરવા અને બજેટ સત્રના સલામત સંચાલન માટે જરૂરી પગલાં સૂચવવા નિર્દેશ આપ્યો.

વર્ષ 2020નું ચોમાસુ સત્ર આ પ્રકારનું પ્રથમ સત્ર હતું, જે સંપૂર્ણપણે કોવિડ પ્રોટોકોલ હેઠળ ચાલ્યું હતું. તે દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી દિવસના અડધા સમય દરમિયાન ચાલતી હતી અને ત્યારબાદ લોકસભાની કાર્યવાહી ચાલતી હતી.

સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સંસદીય બાબતોની કેબિનેટ કમિટી (સીસીપીએ) એ સંસદના બજેટ સત્રના પહેલા ભાગની ભલામણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી કરવાની કરી છે. જ્યારે બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી રહેશે. થોડા દિવસો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રને લઈને રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

નાણામંત્રીએ અત્યાર સુધી કોર્પોરેટ, નાણાકીય ક્ષેત્રની કંપનીઓ, ટ્રેડ યુનિયનો, કૃષિ નિષ્ણાતો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોમાં ઈન્કમ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને હાઈડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહન આપવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : Makar Sankranti 2022 : વડાપ્રધાન મોદી સહિત આ મંત્રીઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો : મકરસંક્રાંતિ પર કોરોનાનુ ગ્રહણ : ગંગા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ, કોરોનાના જોખમને પગલે આ રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ