
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વરસીએ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 22 એપ્રિલ 2025 એ થયેલા આ હુમલામાં હિન્દુ પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 26 લોકોના મોત થયા હતા.
સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ આતંકી સંગઠનો કોઈ મોટી ઘટના અંજામ આપવા તૈયારીમાં હોઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો ખૂણે ખૂણે કડક નજર રાખી રહ્યા છે.
22 એપ્રિલ 2025ના રોજ પહેલગામની બૈસરન ખીણમાં મોટો આતંકી હુમલો થયો હતો. આ દરમિયાન આતંકીઓએ પ્રથમ વખત ધર્મ પૂછીને હિંદુ પર્યટકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 25 પર્યટકો સહિત કુલ 26 લોકોનાં મોત થયા હતા.
આ ઘટનાએ માત્ર દેશને જ નહીં પરંતુ વિશ્વને પણ ઝંઝોળી નાખ્યું હતું. ઘટનાના બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયા હતા.
પહલગામ હુમલાની પ્રથમ વરસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના X અકાઉન્ટ પર પોસ્ટ કરી કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે નિર્દોષ લોકોના મૃત્યુને ક્યારેય ભૂલવામાં નહીં આવે.પહલગામ હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને ક્યારેય યાદમાંથી દૂર કરી શકાય નહીં. આતંકીઓની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. ભારત આતંકવાદના કોઈપણ સ્વરૂપ સામે ક્યારેય નહીં ઝૂકે. દુઃખ અને સંકલ્પની આ ક્ષણમાં આપણે રાષ્ટ્ર તરીકે એકજૂટ છીએ.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
આ હુમલાની પ્રથમ વરસીએ સમગ્ર દેશ શહીદોને યાદ કરી રહ્યો છે, ત્યાં ખીણ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખુફિયા એજન્સીઓ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પર્યટન સ્થળોએ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
આ વિસ્તારોની આસપાસ આવેલા જંગલોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘૂસણખોરી અથવા હુમલાની સાજિશને સમયસર નિષ્ફળ બનાવી શકાય.
આ ઉપરાંત, સરહદી વિસ્તારો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ નજર વધુ કડક બનાવવામાં આવી છે. સુરક્ષા દળો સંપૂર્ણ રીતે સતર્ક છે જેથી કોઈપણ સંભવિત ખતરને તરત જ પ્રતિસાદ આપી શકાય. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પછી સતત સર્ચ ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત રાષ્ટ્રીય હાઈવેની આસપાસના વિસ્તારો અને જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. સાથે જ આવનજાવન કરતા દરેક વાહન પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.
તે ઉપરાંત, શંકાસ્પદ વિસ્તારો અને જંગલોમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત કાર્યવાહી કરી શકાય. હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં સેનાના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. જમ્મુ-કાશ્મીમાં તૈનાત સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, આતંકવાદ વિરોધી દળ અને અર્ધસૈનિક દળો સમગ્ર પ્રદેશમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ કડક કાર્યવાહી કરતાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું અને આતંકીઓ વિરુદ્ધ મોટા પાયે અભિયાન હાથ ધર્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન સુરક્ષા દળોના સતત દબાણને કારણે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો કોઈ મોટી ઘટના અંજામ આપવા સફળ રહ્યા નથી. હવે હુમલાની વરસી નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચારેય બાજુ સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને કડક નજર રાખવામાં આવી રહી છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.