
હરિદ્વાર એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક પ્રાચીન અને મુખ્ય હિન્દુ તીર્થસ્થાન છે. શિવાલિક પહાડોની તળેટીમાં વસેલું, આ શહેર “ભગવાનના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાય છે કારણ કે અહીં ગંગા નદી પર્વતોમાંથી નીકળે છે અને પ્રથમ વખત મેદાની વિસ્તારમાં પ્રવેશ કરે છે.અહીંનો સૌથી પ્રખ્યાત ઘાટ હર કી પૌડી છે, જ્યાં દરરોજ સાંજે ગંગા આરતી કરવામાં આવે છે અને ત્યાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તેવું માનવામાં આવે છે. અન્ય જોવાલાયક સ્થળોમાં મનસા દેવી મંદિર, ચંડી દેવી મંદિર અને શાંતિકુંજનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં દાનની ચોરીનો મામલો સામે આવ્યા બાદ હરિદ્વારના ફેમસ મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પોતાના પુજારીઓને શપથ લેવડાવ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ પંચાયતી શ્રી નિરંજની અખાડાના સચિવ મહંત ડો રવિન્દ્ર પુરી મહારાજે મંદિરના તમામ પુજારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ પણ પુજારી કે કર્મચારી દાનની ચોરી કરતો પકડાશે. તોપછી તેને માત્ર હાંકી કાઢવામાં આવશે નહીં, પરંતુ તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ માટે મહંત રવિંદ્ર પુરીએ સાત લોકોની એક સમિતિ પણ બનાવી છે. અખાડા પરિષદની તાજેતરમાં રચાયેલી બીજી કારોબારી સમિતિ પર ટિપ્પણી કરતા, મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે તેઓ પોતે અખાડા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમની પાસે બહુમતી છે. તેથી, 2027નો કુંભ મેળો તેમના નેતૃત્વ હેઠળ યોજાશે.
મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું કે, મનસા દેવી મંદિરમાં કોઈ પણ પ્રકારની ગડબડી ન થાય અને મંદિરનું દાન કોઈ ચોરી ન કરી શકે. આ માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.