
મધ્યપ્રદેશના 19 વર્ષીય વિદ્યાર્થી અથર્વ ચતુર્વેદીએ NEETમાં સફળતા મેળવ્યા બાદ MBBS પ્રવેશ માટે લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવ્યો છે. ખાનગી મેડિકલ કોલેજોમાં EWS ક્વોટાની જોગવાઈ ન હોવાના કારણે તેને પ્રવેશ નકારવામાં આવ્યો હતો, જોકે તેણે હાર ન માની અને અંત સુધી પોતાનો કેસ લડ્યો. અંતે જીત પણ મેળવી
અથર્વે બે વખત NEET પરીક્ષા પાસ કરી અને 530 ગુણ મેળવ્યા હતા. આર્થિક રીતે નબળા વર્ગ (EWS)માંથી હોવા છતાં, ખાનગી મેડિકલ કોલેજોમાં EWS ક્વોટો લાગુ ન હોવાનું કહી તેને પ્રવેશ અપાયો નહોતો. પહેલા હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ તેને તરત રાહત મળી નહોતી. જોકે, જાન્યુઆરી 2025માં અથર્વે ફરી અરજી કરી અને ઓનલાઈન સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ સ્વયં રજૂ કર્યો.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અથર્વે કહ્યું કે તેને માત્ર 10 મિનિટ આપવામાં આવે તો તે પોતાની વાત સ્પષ્ટ કરી શકે છે. ન્યાયાધીશ સૂર્યકાંત આ વાત સાંભળી આશ્ચર્યચકિત થયા, કારણ કે દલીલ કોઈ વકીલ નહીં પરંતુ 12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી રહી હતી. કોર્ટે તેની દલીલો ધ્યાનપૂર્વક સાંભળી.
અથર્વે કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં EWS અનામત અમલમાં મૂક્યો નથી, જેના કારણે લાયક વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. કોર્ટે માન્યું કે રાજ્ય દ્વારા અનામત અંગે સ્પષ્ટ સૂચના જાહેર ન કરવામાં આવી હોવાના આધારે પ્રવેશ નકારવો યોગ્ય નથી.
બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટે National Medical Commission અને મધ્યપ્રદેશ સરકારને 2025-26ના શૈક્ષણિક સત્ર માટે EWS શ્રેણીના લાયક ઉમેદવારોને કામચલાઉ MBBS પ્રવેશ આપવા આદેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે અથર્વને 2025-26 સત્ર માટે કામચલાઉ પ્રવેશ આપવામાં આવે અને રાજ્ય સરકાર સાત દિવસની અંદર તેને મેડિકલ કોલેજ ફાળવે.
આ ચુકાદા બાદ અથર્વનો ડૉક્ટર બનવાનો માર્ગ હવે સ્પષ્ટ થયો છે અને EWS શ્રેણીના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ નઝીર સ્થાપિત થઈ છે.
દેશભરના દરેક રાજ્યના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો