
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના તાજેતરના નિવેદનોને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. ભારતીય જનતા પાર્ટી એ હવે સીએમ ઉમરને 100 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલીને તેમના પર પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ એ નિવેદન બાદ શરૂ થયો હતો, જેમાં ઉમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો હતો કે બીજેપી તેમની સરકાર પાડવા માટે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને 20 થી 30 કરોડ રૂપિયા, મંત્રી પદ અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ બહાલ કરાવવાનું વચન આપી રહી છે. તેમણે આને “ઓપરેશન લોટસ” નો એક ભાગ ગણાવ્યો હતો.
બીજી તરફ, બીજેપીએ આ આરોપોને તદ્દન પાયાવિહોણા અને માનહાનિરૂપ ગણાવ્યા છે. પાર્ટીએ પુરાવાની માંગ કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી અબ્દુલ્લા કાં તો પોતાના આરોપોના સમર્થનમાં નક્કર પુરાવા રજૂ કરે અથવા તો જાહેરમાં બિનશરતી માફી માંગે. પાર્ટીનું કહેવું છે કે જો આવું નહીં થાય તો તેમની સામે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાના આરોપો પર જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સત શર્માએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી પાસે પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કરવાની માંગ કરતા કહ્યું કે જો તેઓ તેમ કરવામાં અસમર્થ રહેશે તો તેમણે સાર્વજનિક રૂપે માફી માંગવી પડશે, અન્યથા તેમણે કાયદાનો સામનો કરવો પડશે.
તેમણે જણાવ્યું કે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠા છે, અને તેમના દ્વારા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી પર આવા ગંભીર આરોપો લગાવવા તે અત્યંત ગેરજવાબદારભર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની સરકારની નિષ્ફળતાઓ અને ચૂંટણીલક્ષી વચનો પૂરા ન કરી શકવાને કારણે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે.
બીજેપી પ્રદેશ અધ્યક્ષે ત્યાં સુધી કહ્યું કે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોનો સંપર્ક કરવાની હવે કોઈ જરૂર જ રહી નથી. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જ્યારે તેમની પોતાની જ પાર્ટીના કેટલાક ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ હાજર ન રહ્યા, તો પછી બીજેપીને તેમને તોડવાની શું જરૂરિયાત છે?
સત શર્માએ શનિવારે મુખ્યમંત્રી પાસે એ ધારાસભ્યોના નામ જાહેર કરવાની પણ માંગ કરી હતી, જેમના વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમને 20 થી 30 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે માત્ર આરોપો લગાવવાથી કામ નહીં ચાલે, પરંતુ મુખ્યમંત્રીએ પોતાના દાવાઓ અંગે નક્કર પુરાવા પણ આપવા પડશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે બીજેપીએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને પાર્ટીએ કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે માહિતી આપી કે આ સંદર્ભે તેમની પાર્ટીની લીગલ ટીમ (કાનૂની ટીમ) સાથે વાતચીત થઈ ચૂકી છે અને દિવસ દરમિયાન લીગલ ટીમની બેઠક પણ યોજાશે, ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.