
પંજાબ નેશનલ બેંકે (PNB) પોતાના ડેબિટ કાર્ડ પર ATM માંથી રોકડ ઉપાડવાની મર્યાદા (Limit) ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકના જણાવ્યા અનુસાર, નવા નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ ફેરફારની અસર માત્ર કેટલાક ખાસ ડેબિટ કાર્ડ વેરિઅન્ટ પર જ પડશે, જ્યારે બાકીના કાર્ડ્સની મર્યાદા પહેલા જેવી જ રહેશે.
બેંકે જણાવ્યું છે કે, આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષા વધારવા, જોખમ ઘટાડવા અને ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. આ હેઠળ કેટલાક કાર્ડ્સ પર દરરોજ રોકડ ઉપાડવાની મર્યાદા 50 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે.
PNB એ ઘણા ડેબિટ કાર્ડ્સ પર ATM માંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી દીધી છે, જેમાં નીચે દર્શાવેલ કાર્ડ્સનો સમાવેશ થાય છે:
કેટલાક પ્રીમિયમ ડેબિટ કાર્ડ્સ પર પણ રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવામાં આવી છે. રુપે સિલેક્ટ ડેબિટ કાર્ડ, PNB રુપે સિલેક્ટ નિઓ ડેબિટ કાર્ડ, PNB રુપે સિલેક્ટ એક્સેલ ડેબિટ કાર્ડ, વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ, માસ્ટરકાર્ડ બિઝનેસ ડેબિટ કાર્ડ પર હવે દરરોજ મહત્તમ 75,000 રૂપિયા જ ઉપાડી શકાશે. અગાઉ આ કાર્ડ્સ પર મર્યાદા 1.5 લાખ રૂપિયા હતી.
PNB એ સ્પષ્ટ કર્યું છે કે, જે ડેબિટ કાર્ડ્સના નામ આ યાદીમાં નથી, તેમના ATM માંથી રોકડ ઉપાડવાની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટૂંકમાં, બાકીના કાર્ડ્સ પર પહેલાની જેમ જ લિમિટ લાગુ રહેશે.
PNB ના ગ્રાહકો ઈચ્છે તો નક્કી કરેલી મર્યાદાની અંદર ATM કેશ ઉપાડની લિમિટ જાતે પણ સેટ અથવા રિસેટ કરી શકે છે. આ માટે ઇન્ટરનેટ બેંકિંગ, PNBOne મોબાઈલ એપ, IVR સેવા અથવા વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરી શકાય છે.
બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ATM માંથી રોકડ ઉપાડની મર્યાદામાં ફેરફારની અસર POS (પોઈન્ટ ઓફ સેલ), ઈ-કોમર્સ અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટની મર્યાદા પર પડશે નહીં. આ માધ્યમો દ્વારા થતા વ્યવહારોની મર્યાદા પહેલા જેવી જ રહેશે.
ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગમાં લોગિન કરીને ‘Value Added Services’ સેક્શનમાં જઈને ‘Debit Card Personalisation’ વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ કાર્ડની વિગતો દાખલ કરીને નવી મર્યાદા સેટ કરી શકાય છે. OTP વેરિફિકેશન પછી નવી મર્યાદા લાગુ થઈ જશે.