
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ના રોજ કેન્દ્ર સરકારે દેશમાં E85 ફ્યુઅલ લોન્ચ કર્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં આની શરૂઆત કરાવી હતી. સરકારનો દાવો છે કે, આ બળતણ પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે.
જો 5 જૂનના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લીટર હોય, તો તેવા સમયમાં E85 ફ્યુઅલ 20 રૂપિયા સસ્તું થઈને 82.12 રૂપિયામાં મળશે. સાથે જ આનાથી પ્રદૂષણ ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણ બચાવવામાં અને ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ મળશે.
E85 એ એક હાઇ-એથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (મિશ્રિત બળતણ) છે, જેમાં 80 થી 85 ટકા એથેનોલ અને 14 થી 19 ટકા પેટ્રોલ હોય છે. આને ખાસ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વાહનો E20 થી લઈને E100 સુધીના એથેનોલ મિશ્રણ પર ચાલી શકે છે.
હાલમાં E85 ફ્યુઅલ દેશભરમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના 48 રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સરકારનો લક્ષ્યાંક ડિસેમ્બર 2026 સુધીમાં આને 500 પેટ્રોલ પંપો સુધી અને ડિસેમ્બર 2027 સુધીમાં આશરે 5000 પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાનો છે.
સરકારના જણાવ્યા અનુસાર, E85 ની કિંમત પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી રાખવામાં આવી છે. આનો હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદિત એથેનોલનો ફાયદો સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.
આ અંગે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વર્ષ 2014માં એથેનોલ બ્લેન્ડિંગનું સ્તર 1.53 ટકા હતું, જે હવે વધીને 20 ટકા થઈ ચૂક્યું છે. આના કારણે દેશને 1.84 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં અને આશરે 302 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાતને રિપ્લેસ (બદલવામાં) કરવામાં મદદ મળી છે. તેમણે ખેડૂતોને દેશના ‘અન્નદાતા’ જ નહીં પરંતુ ‘ઊર્જાદાતા’ પણ ગણાવ્યા.
સરકારનો દાવો છે કે, E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીમાં પોતાના લાઈફટાઈમ (આયુષ્ય) દરમિયાન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં આશરે 61 ટકા સુધીનો ઘટાડો લાવી શકે છે. આ ઉપરાંત, એથેનોલનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) આશરે 108 હોવાને કારણે એન્જિનની કાર્યક્ષમતા પણ સારી બની શકે છે.
સરકારનો અંદાજ છે કે, જો નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાંથી 50 ટકા વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી અપનાવે, તો 312 કરોડ લીટરથી વધુ એથેનોલની માંગ ઊભી થઈ શકે છે. આનાથી આશરે 12,403 કરોડ રૂપિયા સીધા ખેડૂતો સુધી પહોંચી શકે છે. સાથે જ દર વર્ષે 15,151 કરોડ રૂપિયાની વિદેશી હૂંડિયામણની બચત અને 66.4 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો શક્ય બનશે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030-31 સુધીમાં દેશમાં કુલ એથેનોલ બ્લેન્ડિંગ સ્તરને આશરે 26 ટકા સુધી પહોંચાડવાનો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, E85 ફ્યુઅલ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ છે અને સામાન્ય પેટ્રોલ વાહનોમાં આનો ઉપયોગ કરી શકાશે નહીં. બીજી તરફ E20 બળતણને લઈને સરકારનું કહેવું છે કે, આના કારણે અત્યાર સુધી એન્જિન ખરાબ થવાનો કે વાહન બંધ પડવાનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. સાથે જ E20 ના ઉપયોગથી વાહન વીમા (વ્હીકલ ઇન્શ્યોરન્સ) પર પણ કોઈ અસર પડતી નથી.