
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે એક અત્યંત ચોંકાવનારી કાર્યવાહી કરતા મુંબઈમાં આવેલા અંબાણીના આલીશાન ઘર ‘અબોડ’ (Abode) ને ટાંચમાં લીધું (સીઝ કર્યું) છે. મની લોન્ડરિંગ વિરોધી ચાલી રહેલી આ મોટી તપાસ હેઠળ હવે અંબાણીનો આ સપનાનો મહેલ કાયદાકીય સકંજામાં આવી ગયો છે.
અનિલ અંબાણીનો આ બંગલો મુંબઈના સૌથી પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલો છે અને તેની ગણતરી ભારતના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. આ ઇમારત 66 મીટર ઊંચી છે અને તેમાં કુલ 17 માળ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલી આ મિલકતની કુલ કિંમત ₹3716.83 કરોડ આંકવામાં આવી છે. આ બંગલો મુંબઈના હાઈ-પ્રોફાઇલ પાલી હિલ વિસ્તારમાં તેની ભવ્યતા માટે જાણીતો છે.
આ સમગ્ર કાર્યવાહી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા કરવામાં આવેલી કથિત બેંક છેતરપિંડીના કેસ સાથે જોડાયેલી છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કરીને આ બહુમાળી બિલ્ડિંગને એટેચ કરી છે.
એજન્સીનો આરોપ છે કે, કંપની દ્વારા બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને તે નાણાંનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો. તાજેતરના આદેશ પછી, આ કેસમાં અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિની કિંમત લગભગ ₹15,700 કરોડ સુધી પહોંચી ગઈ છે.
અનિલ અંબાણી (66 વર્ષ) ને ટૂંક સમયમાં કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડી શકે છે. અગાઉ ઓગસ્ટ 2025 માં પણ અનિલ અંબાણી ED સમક્ષ હાજર થયા હતા. તે સમયે PMLA હેઠળ તેમનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું. હવે તપાસના બીજા તબક્કામાં તેમની બેંક છેતરપિંડી અને મિલકત સંબંધિત કડક પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લાંબા સમયથી દેવાના સંકટ અને કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહી છે. એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક અનિલ અંબાણી માટે પોતાના ઘરની જપ્તી એ મોટો વ્યક્તિગત અને વ્યાવસાયિક ફટકો માનવામાં આવે છે.
Published On - 7:04 pm, Wed, 25 February 26