
દુનિયાના અન્ય મંદિરમાં જેમ આપણે ભગવાનને સતત, નિરંતર નિહાળી શકીએ છીએ, એકીટશે નિહાળીને તેમના દર્શન કરી શકીએ છીએ. પરંતુ ઉત્તરપ્રદેશના પાવન ધામ વૃંદાવનમાં આવેલા પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તમે ભગવાન શ્રીકૃષ્ણને નિરંતર નથી જોઈ શક્તા. એકીટશે તેમની સામે જોઈને દર્શન નથી કરી શક્તા. આ મંદિરમાં આરાધ્ય ઠાકુર શ્રી બાંકે બિહારી (શ્રીકૃષ્ણ) ના સ્વરૂપને એકીટશે નિહાળવાની સખ્ત મનાઈ છે. આ જ કારણ છે કે અહીં દર બે થી ત્રણ મિનિટના અંતરાલ પર ઠાકુરજીની સન્મુખ એક મખમલી ભારે પડદો પાડી દેવાાં આવે છે. જો કે ફરી તેને હટાવી પમ દેવામાં આવે છે અને આ પ્રક્રિયા દર બે-ત્રણ મિનિટે ચાલતી રહે છે. મંદિર પ્રશાસન આ દર્શન વ્યવસ્થાને ‘ઝાંખી દર્શન’ કહે છે.
આ પરંપરાની પાછળની માન્યતા એવી છે કે તે સહુ કોઈને ચોંકાવી દે છે. એવુ મનાય છે કે અહીં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની આંખો અત્યંત નશીલી છે. વશીકરણની શક્તિથી ભરેલી છે. જો કોઈ પણ ભક્ત નિષ્કપટ ભાવથી, પુરી તન્મયતાથી ભગવાન બાંકે બિહારીની આંખોમાં આંખો પરોવીને જોઈ લે તો બિહારીજી તેમની ભક્તિથી વશીભૂત થઈ જાય છે અને તે પોતાનું સિંહાસન છોડીને આ ભક્તની સાથે ચાલવા લાગે છે.
આ જ સંદર્ભમાં એક પ્રાચીન કથા પણ ઘણી પ્રચલિત છે. 400 વર્ષ પહેલા મંદિરમાં પડદો લગાવવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા ન હતી. વર્ષો પહેલા એક વૃદ્ધ બાંકે બિહારીજીને એકીટશે નિહાળી રહ્યા હતા અને થયુ એવુ કે ત્યારબાદ ઠાકોરજી મંદિર છોડીને એ વૃદ્ધની સાથે ચાલી નીકળ્યા. અન્ય એક કથા એવી પણ પ્રચલિત છે તે એક નિ:સંતાન વૃદ્ધ મહિલા (કેટલાક કિસ્સાઓમાં ભરતપુરના રાજારાણી) ઠાકુરજીના મનમોહક બાળ સ્વરૂપને એકીટશે નિહાળી રહ્યા હતા. ત્યારે તેમના વાત્સલ્ય અને પ્રેમથી ભાવ-વિભોર થઈને ઠાકોરજી તેમના વશમાં આવી ગય અને તેની મૂર્તિ છોડીને એ મહિલાની પાછળ પાછળ તેના ઘર સુધી પહોંચી ગયા. ત્યારબાદ પૂજારીઓએ અનેક પ્રાર્થના કરીને ઠાકુરજીને ફરીથી મંદિરમાં સ્થાપિત કર્યા. ત્યારથી આ વ્યવસ્થા બનાવવામાં આવી કે કોઈપણ ભક્ત ભગવાનના આ બાળસ્વરૂપને એકીટશે, નિરંતર નિહાળી નહીં શકે. જેથી પ્રભુ ફરી કોઈ ભક્તના પ્રેમ બંધનના મોહપાશમાં બંધાઈને મંદિરની બહાર ન નીકળી જાય.
જેમ બાળ કૃષ્ણની લીલાઓ અપરંપાર છે તેમ બાંકે બિહારી મંદિરમાં પણ બાળકૃષ્ણ બિરાજમાન છે અને તેમની લીલાઓ પણ અનોખી છ. એવુ મનાય છે કે બાંકે બિહારીની આંખો એટલી ચમત્કારી અને સંમોહક છે કે જો કોઈ વ્યક્તિ તેને સતત જોઈ રહે તો તે તેના હોશ ખોઈ બેઠે છે અને તેને ભાવ સમાધિ લાગી જાય છે. બસ આ જ કારણ છે કે ભક્તોનું ધ્યાન ભટકાવવા અને તેમને આ સાંસારિક સંસારમાં પરત લાવવા આ પડદાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થાનને આદ્યાત્મિક રીતે ‘વિરહ અને મિલન’ નું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પડદો બંધ હોય છે ભક્તોના મનમાં ઠાકોરજીના ફરી દર્શન કરવાની તડપ (વિરહ) વધે છે અને પડદો ખુલતા જ મિલનનો આનંદ બેવડાઈ જાય છે.