આંધ્રપ્રદેશના (Andhra Pradesh)પૂર્વ સીએમ એનટી રામારાવની (NT Rama Rao) નાની પુત્રી ઉમા મહેશ્વરીએ (Uma Maheshwari)સોમવારે આત્મહત્યા (Suicide) કરી હતી. ઉમા મહેશ્વરી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સારવાર ચાલી રહી હતી. મહેશ્વરીએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેમના નિવાસસ્થાને ફાંસી લગાવીને અંતિમ શ્વાસ લીધા હતા. જ્યુબિલી હિલ્સ પોલીસ ઓફિસર રાજશેખર રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ તે ખરાબ તબિયતના કારણે ડિપ્રેશનમાં હતી.
હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ઉમા મહેશ્વરીના નિધન પર સમગ્ર NTR પરિવાર શોકમાં છે. એનટીઆરના પરિવારના અન્ય સભ્યો ઉમા મહેશ્વરીના ઘરે પહોંચી ગયા છે. ચંદ્રબાબુ નાયડુ પણ ટૂંક સમયમાં આવશે તેવા સમાચાર છે. વિદેશમાં હાજર જુનિયર એનટીઆરને ઉમા મહેશ્વરીના મૃત્યુની જાણકારી આપવામાં આવી છે. હાલ તેમના પાર્થિવ દેહને દર્શન માટે ઘરે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે NTRના પરિવારના સભ્યો, સંબંધીઓ અને ઘણી હસ્તીઓ હાજર છે. ઉમા મહેશ્વરીના નિધન પર ઘણા લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
ઉમા મહેશ્વરી 12 ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી
જ્યુબિલી હિલ્સના સીઆઈ રાજશેખર રેડ્ડીએ જણાવ્યું કે આ આત્મહત્યાનો મામલો છે અને તપાસ બાદ જ કારણ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે ઉમા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સ્થાપક એનટીઆરના 12 બાળકોમાં સૌથી નાની અને ચાર બહેનોમાં સૌથી નાની હતી. તેમના પિતા એનટી રામારાવ, એનટીઆર તરીકે જાણીતા, ટીડીપીના સૌથી ઊંચા નેતાઓમાંના એક હતા.
ટીડીપીની રચના 1982માં એનટીઆર દ્વારા કરવામાં આવી હતી.
અભિનેતામાંથી રાજકારણી બનેલા એનટીઆરએ 1982માં તેલુગુ સ્વાભિમાનના નારા પર ટીડીપીની રચના કરી અને નવ મહિનાની અંદર પાર્ટીને સત્તામાં લાવીને એક પ્રકારનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે તત્કાલીન અવિભાજિત આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પાર્ટી શાસનનો અંત આવ્યો. તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળના બળવાને પગલે સત્તામાંથી દૂર થયાના થોડા મહિનાઓ પછી 1996માં 72 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તાજેતરમાં ઉમા મહેશ્વરીની પુત્રીના લગ્નમાં પરિવારના ઘણા સભ્યો એક સાથે આવ્યા હતા. જણાવી દઈએ કે અભિનેતા અને પૂર્વ મંત્રી એન હરિકૃષ્ણા સહિત NTRના ત્રણ પુત્રોનું નિધન થઈ ગયું છે.
Published On - 6:53 pm, Mon, 1 August 22