એક ભક્તિ આવી પણ: શિવ સ્વરૂપ ભગવાન કોરગજ્જાનો મુસ્લિમ ભક્ત, બનાવ્યું મંદિર અને કરે છે પૂજા
સાંપ્રદાયિક રીતે અતિ સંવેદનશીલ ગણાતા દક્ષિણ કન્નડમાં એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નડના મુલ્કી નજીકના કવાથારુ ગામમાં મુસ્લિમ વ્યક્તિએ ભગવાન કોરગજ્જાનું મંદિર બનાવ્યું છે અને તેની પૂજા કરે છે.
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહિયાં અલગ અલગ ધર્મના ઘણા એવા ઉદાહરણ મળી આવતા હોય છે કે તે જાણીને આપણને ભારતીય હોવા પર ગર્વ થાય. આવું જ એક ઉદાહરણ દક્ષીણ કન્નડમાં જોવા મળ્યું છે.
સાંપ્રદાયિક રીતે અતિ સંવેદનશીલ ગણાતા દક્ષિણ કન્નડમાં એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નડના મુલ્કી નજીકના કવાથારુ ગામમાં ધાર્મિક આઝાદીનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. કાવાથારુ ગામના 65 વર્ષિય પી કાસિમ લાંબા સમયથી કોરગજ્જા મંદિરમાં પૂજા-અર્ચના કરી રહ્યા છે. આટલું જ નહીં, તેમણે પોતે પણ એક પુજારીની સલાહથી આ મંદિર બનાવ્યું છે. જી હા દક્ષીણ કન્નડના આ ગામનું મંદિર દરેક માટે ચર્ચાનો વિષય બન્યું છે. એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ધાર્મિક સુવાસની એક મહેક પૂરી પાડે છે.
મૂળ કેરળના પલક્કડ જિલ્લાના ચિટ્ટાલાચેરીમાં રહેતો 65 વર્ષિય પી કાસિમ આશરે 30 વર્ષ પહેલાં મુલ્કી આવ્યા હતા. ઘણા વર્ષો પહેલા, જ્યારે તેમને પોતાની અંગત જિંદગીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે એક પૂજારીએ તેમને મંદિરની સ્થાપના કરવાનું કહ્યું. પુજારીએ પી કાસિમને કહ્યું હતું કે કોરગજ્જા ભગવાન લોકોની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જે પછી પી કાસીમે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવતા ભગવાન કોરગજ્જાના મંદિરનું નિર્માણ કર્યું હતું.
65 વર્ષીય પી કાસિમે ન્યૂઝ એજન્સી સંસ્થાને જણાવ્યું છે કે, વિવિધ ધર્મના લોકો પણ આ મંદિરમાં આવે છે. અને અહીં આવીને પૂજા કરે છે. આ સાથે જ પી કાસીમે જણાવ્યું કે મંદિર બનાવ્યા બાદ તેમણે મસ્જિદ જવાનું પણ બંધ કરી દીધું. સાથે સાથે તેઓએ માંસાહારનો પણ ત્યાગ કર્યો. જો કે કાસીમના બાળકો મસ્જિદ જાય છે, અને બાળકોની આસ્થા કોરગજ્જા મંદિરમાં પણ છે. તેઓ મસ્જિદમાં જવાની સાથે સાથે ભગવાન કોરગજ્જામાં પણ વિશ્વાસ રાખે છે.
આ અનીખા મંદિરમાં પી કાસીમ પોતે મંદિરમાં પૂજા કરે છે. તેમજ આ મંદિરમાં દર બીજા વર્ષે કલોત્સવ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ક્લોત્સવ એ દક્ષિણ કર્ણાટક અને નજીકના વિસ્તારોના શિવ મંદિરમાં ઉજવાતો ઉત્સવ છે.