
9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચૈલ માતા મંદિર સુધી પહોંચવા માટે, શ્રદ્ધાળુઓ ફક્ત મોટર વાહન દ્વારા ચાશોટી ગામ પહોંચી શકે છે. ત્યારબાદ તેમને 8.5 કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 200 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.

ચાશોટી ગામ કિશ્તવાર શહેરથી લગભગ 90 કિમી દૂર છે. અહીં શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવેલ લંગર (સમુદાયિક રસોડું) વાદળ ફાટવાથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને દુકાનો તેમજ સુરક્ષા ચોકી સહિત ઘણી ઇમારતો ધોવાઈ ગઈ. આ બનાવ બાદ, માચૈલ માતા મંદિરની ધાર્મિક યાત્રા મોકૂફ જાહેર કરવામાં આવી છે. NDRF- SDRFની બે ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. પોલીસ, સેના, NDRF અને SDRF અધિકારીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ( તસવીર સૌજન્ય-PTI )