
સિંહસ્થ મહાકુંભ 2028 માટે ઉજ્જૈનના કંઠાલ ચોકથી છત્રી ચોક સુધીનો રોડ પહોળો કરવામાં આવી રહ્યો છે. શહેરના આ જ રૂટ મદનલાલ શર્મા માર્ગ નવી પૈઠ છત્રી ચોકના સતી ગેટ પર ખડે હનુમાનજીનું મંદિર છે. માનવામાં આવે છે કે, આ મંદિર 170 વર્ષ જૂનું એટલે કે વર્ષ 1857 ના સમયનું છે. નગર નિગમે રોડ પહોળો કરવા માટે મંદિરને શિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો.
4-5 સપ્ટેમ્બરે નગર નિગમની ટીમે મંદિર પર હથોડો ચલાવ્યો હતો. આ પછી હનુમાનજીની પ્રતિમાને હટાવવાનો વારો આવ્યો. પ્રશાસને પ્રયાસ કર્યો પરંતુ ‘ખડે હનુમાન’ ટસથી મસ ન થયા. ચાર દિવસમાં ચાર વાર મૂર્તિને ખસેડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ભક્તોએ આને દૈવી સંકેત અને ભગવાનનો ચમત્કાર માન્યો. પ્રશાસને હાથ ઊંચા કરી દીધા અને ભક્તોએ હાથ જોડી લીધા.
હાલમાં સતી ગેટ પર ખડે હનુમાનજીની મૂર્તિ પોતાના મૂળ સ્થાને સુરક્ષિત છે. મંદિરનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું, તેથી મૂર્તિને બચાવવા માટે કેનોપી ટેન્ટ લગાવવામાં આવ્યો છે. ભક્તો માને છે કે, હનુમાનજી સ્વયં પોતાનું સ્થાન છોડવા નથી માગતા. પ્રશાસનના આ અભિયાનમાં ભારતીય પુરાતત્વ વિભાગની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ ઈતિહાસ તપાસવામાં આવી રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ મૂર્તિ 170 વર્ષથી પણ વધુ જૂની છે. તેનો સંબંધ પરમાર વંશ અને રાજા ભોજના શાસનકાળ સાથે હોઈ શકે છે. જો આ દાવો સાચો નિકળ્યો તો આ પ્રતિમા 1000 વર્ષ જૂની માનવામાં આવશે. જો કે, આ હજુ કન્ફર્મ નથી. મંદિરના મુખ્ય પૂજારી પંડિત મહેશ બૈરાગીનો પરિવાર ઘણી પેઢીઓથી મંદિરની સેવામાં સમર્પિત છે.
હાઇડ્રોલિક મશીન નિષ્ફળ ગયા પછી પ્રશાસનને અંદાજો આવ્યો કે, હનુમાનજી મજબૂત પાયા પર સ્થિત છે. તેમની પ્રતિમા જમીનની ઉપર માત્ર 8 ફૂટ છે પરંતુ જમીનમાં પાયો કેટલો ઊંડો છે, તેનો અંદાજો લગાવી શકાયો નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ મૂર્તિ એક જ મોટા પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે. જો ભગવાનની પ્રતિમાને સીધી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે ખંડિત થઈ શકે છે.
Ujjain’s 170-year-old Khade Hanuman Temple has become a powerful moment of faith. Despite three days of efforts during the shifting process for road widening, the idol at Sati Gate reportedly did not move.
Devotees see this as Hanuman Ji’s divine will. Further decisions will… pic.twitter.com/njyiANJA7c
— अथर्व (@Talwar_1009) September 7, 2026
પૂજારીઓના જણાવ્યા અનુસાર, નગર નિગમના નિષ્ણાતોએ પ્રતિમા પાસે દોઢ ફૂટ સુધી ખાડો ખોદીને પાયાની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને કોઈ ખાસ માહિતી ન મળી. પ્રશાસન અને પુરાતત્વ વિભાગની ટીમ ગ્રાઉન્ડ સ્કેનિંગ ટેકનિક અજમાવવાની છે. ત્યારબાદ જ આને શિફ્ટ કરવાના રસ્તાઓ પર વિચાર કરવામાં આવશે. ટીમ સામે પડકાર આ પ્રતિમાને સુરક્ષિત બહાર કાઢવાનો છે.
પ્રો. ડૉ. રમણ સોલંકી, વિક્રમ યુનિવર્સિટીના પુરાતત્વ નિષ્ણાતનું કહેવું છે કે, આ મૂર્તિ માળવા ક્ષેત્રમાં મળતા મજબૂત બેસાલ્ટ પથ્થર પર કોતરવામાં આવી છે. પરમાર વંશ અને રાજા ભોજના શાસનકાળ દરમિયાન પણ આવા પથ્થરો પર કલાકૃતિઓ કોતરવાની પરંપરા હતી. મૂર્તિ પર ચડેલા સિંદૂરના જાડા થરને કારણે તેની મૂળ બનાવટ અને ભાવ-ભંગિમા સીધી રીતે દેખાઈ રહી નથી.
અત્યારે સતી ગેટના ખડે હનુમાનજીને લઈને ઉજ્જૈન શહેરથી સોશિયલ મીડિયા પર ભક્તોની આસ્થા ઉમટી રહી છે. ભક્તોની આંખોમાં આંસુ છે પરંતુ આસ્થાનો દોર પણ મજબૂત છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, ભગવાનની મરજી વગર એક પાંદડું પણ નથી હલતું. ઘણા લોકો આને ચમત્કાર માની રહ્યા છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, સાયન્સે ભગવાનને નથી બનાવ્યા, ભગવાને આપણને સાયન્સની સમજ આપી છે. કેટલાક ક્ષણો એવા હોય છે કે, જેને શબ્દોમાં વર્ણવી શકાતા નથી. આ ક્ષણો સીધા આસ્થાના કેન્દ્રને સ્પર્શે છે. ભક્તો માટે, સતી ગેટ પર ખડે હનુમાનજીની અતૂટ ઉપસ્થિતિ તેમની ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું એક સશક્ત પ્રતીક છે.
હિંદુ સંગઠનોએ પ્રશાસનને ચેતવણી આપી છે કે, પ્રતિમાને હટાવવાના નામે પ્રયોગો ન કરે. તેમણે પ્રશાસન પાસે પ્રતિમાને હટાવતા પહેલા સુરક્ષાની લેખિત ગેરંટી પણ માગી છે.