એકનાથ શિંદે (Eknath Shinde) મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમના પર મોટી કાર્યવાહી કરતા શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીના નેતા પદ પરથી હટાવી દીધા છે. ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે. શિંદે પર પાર્ટી વિરુદ્ધ બળવો કરવાનો આરોપ છે. તેમના પર 39 ધારાસભ્યો સાથે પાર્ટીમાં બળવો કરવાનો અને પછી પાર્ટીને કબજે કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કાર્યવાહી અંગેનો પત્ર પણ એકનાથ શિંદેને મોકલવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શિવસેનાને બહાર રાખીને તથાકથિત શિવસેનાના સીએમ ન બની શકે અને સાંજે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો.
શિંદે જૂથના પ્રવક્તાએ આ કાર્યવાહી વિશે કહ્યું કે એકનાથ શિંદે આ સમયે મહારાષ્ટ્રના નેતા બની ગયા છે. તેમના પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી. દીપક કેસરકર ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય સામે વધુ કંઈ બોલવા માટે સંમત ન હતા. તેમનું કહેવું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરે છે, તેથી તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે.
આ દરમિયાન મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે તેઓ સત્તા ખાતર મુખ્યમંત્રી બન્યા નથી. તેમના સમર્થક 50 લોકોના અસ્તિત્વની લડાઈ હતી. તેમણે કહ્યું, “મારા માટે પણ આ અણધાર્યું હતું કે માત્ર 50 ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં ભાજપે બાળાસાહેબના એક સામાન્ય શિવસૈનિકને મુખ્યમંત્રી બનવાની તક આપી. ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખ્યું.
શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું દુઃખદ છે, પરંતુ અમે તેમને વારંવાર સમજાવીને થાકી ગયા હતા કે, જેમની સાથે ગઠબંધનની જાહેરાત કરીને ચૂંટણી જીતી છે તેમની સાથે જ સરકાર બનાવવી જોઈએ. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમની વાતને અવગણી હતી. શિંદેએ આદિત્ય ઠાકરેના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેએ પોતે 20 મેના રોજ તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરી હતી.
ઉલ્લેનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું હતું. શિવસેનાના નેતૃત્વવાળી અને કોંગ્રેસ તેમજ એનસીપી સાથે ગઠબંધનમાં રહેલી મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. તેમજ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.