Maharashtra : સત્તા બાદ હવે તીર કમાન માટેની લડાઈ, હવે સૌથી મોટો સવાલ, અસલી શિવસેના કોની ? જાણો સમગ્ર પ્રક્રિયા
Maharashtra Politics : ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેએ પક્ષ -ચૂંટણી ચિન્હ માટે ચૂંટણી પંચ સુધી પહોંચવું જરૂરી છે. એકવાર આ મામલો ચૂંટણી પંચ સુધી પહોચશે તો, ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) આદેશ 1968ના આધારે નિર્ણય લેવામાં આવશે.
Shinde vs. Thackeray : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેએ (CM Eknath Shinde) શપથ લીધાની સાથે જ સત્તા માટેનો સંઘર્ષ તો લગભગ બંધ થતો જણાઈ આવી રહ્યો છે, પરંતુ મોટો પ્રશ્ન હજુ પણ આવવાનો બાકી છે. સવાલ એ છે કે અસલી શિવસેના (Shiv Sena) કોની છે ? ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) આગેવાની હેઠળના જૂથ અને શિંદે કેમ્પ શિવસેનાના તીર અને કમાનના ચિન્હ માટે પોતપોતાના દાવા કરી રહ્યા છે. હવે પાર્ટીના પ્રતીક ‘તીર અને કમાન’ (Party symbol) પર તણાવ શરૂ થવાની સંભાવના છે. જોકે, અહીં સમગ્ર મામલો ચૂંટણી પંચના હાથમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિંદે જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ પર દાવો કરવાની તૈયારી કરતા જોવા મળે છે. સાથે જ ઉદ્ધવ કેમ્પ પણ લડ્યા વિના હાર નહીં માને. વાસ્તવમાં શિવસેના પર દાવો કરવા માટે પાર્ટીના તમામ પદાધિકારીઓ, રાજ્યના ધારાસભ્યો, સાંસદોનું સમર્થન જરૂરી છે. પક્ષને માન્યતા આપવા માટે માત્ર મોટી સંખ્યામાં ધારાસભ્યો હોવા પૂરતું નથી. પક્ષના ચૂંટાયેલા સભ્યો, અન્ય પદાધિકારીઓની પણ ભૂમિકા મહત્વની રહે છે.
ચૂંટણી પંચની ભૂમિકા
તીર કમાનનુ ચૂંટણી ચિન્હ મેળવવા માટે બંને જૂથો કમિશન સુધી પહોંચે તે જરૂરી છે. એકવાર આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચશે, તો ચૂંટણી પંચ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) આદેશ 1968ના આધારે નિર્ણય લેશે. સામાન્ય માન્યતા એવી છે કે બે તૃતિયાંશ ધારાસભ્યોનું સમર્થન પક્ષની ઓળખ માટે પૂરતું છે. જોકે, એવું નથી. ચૂંટણી ચિન્હ મેળવવા માટે દાવો કરનાર જૂથને જંગી સમર્થન મેળવવાની જરૂર છે.
પ્રક્રિયા શું છે
જ્યારે બે જૂથો પ્રતીક માટે દાવો કરે છે, ત્યારે કમિશન પહેલા બે જૂથોને મળી રહેલા સમર્થનની તપાસ કરે છે. પછી EC પક્ષના ટોચના પદાધિકારીઓ અને નિર્ણય લેનાર પેનલની ઓળખ કરે છે અને પક્ષના કેટલા સભ્યો જૂથ સાથે છે તે ચકાશે છે. આ પછી, ચૂંટણી પંચ દરેક જૂથના ધારાસભ્યો અને સાંસદોની ગણતરી કરે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પંચ ચૂંટણી ચિન્હ મેળવવા માટે દાવો કરનાર એક જૂથ અથવા બંને જૂથ વિરુદ્ધ નિર્ણય આપી શકે છે.
પ્રક્રિયા અહીં અટકતી નથી. ચૂંટણી પંચ રાજકીય પાર્ટીના ચૂંટણી ચિન્હને ફ્રીઝ પણ કરી શકે છે અને બંને પક્ષોને નવા નામ અને ચિન્હ સાથે નોંધણી કરાવવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં, જો ચૂંટણી નજીકના ભવિષ્યમાં હોય, તો ચૂંટણી પંચ ચૂંટણી ચિન્હ મેળવવાનો દાવો કરનારા જૂથોને કામચલાઉ પ્રતીક પસંદ કરવાનું પણ કહે છે.