મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે (Anil Deshmukh) તેમની ઉંમર અને સ્વાસ્થ્યનો હવાલો આપતા જેલમાં ઘરેથી ભોજન મંગાવવાની પરવાનગી માંગી હતી. મુંબઈની સ્પેશિયલ સેશન્સ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. જજ એચ.એસ.સાતભઈએ (Judge H.S.Satbhai) દેશમુખને કહ્યું હતું કે ‘પહેલા જેલનું ભોજન ખાઓ, પછી જોઈશું’.
આ પછી તેમણે દેશમુખને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ ન્યાયિક કસ્ટડી દરમિયાન દેશમુખ 29 ડિસેમ્બર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે. આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) આ નિર્ણયના બીજા દિવસે ન્યાયાધીશ એચ. એસ. સાતભઈની યવતમાલ જિલ્લાના કેલાપુર તાલુકા (બ્લોક)ની કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટે 15 નવેમ્બરે આપેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે જજ એચ. એસ. સાતભઈની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી રહી છે. સાતભઈની યવતમાળના કેલાપુર તાલુકાની સેશન્સ કોર્ટના જજ તરીકે બદલી કરવામાં આવી છે. 13મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ એચ. એસ. સાતભઈના આ ટ્રાન્સફરના આદેશને સંમતિ આપી છે.
રાજ્યના અનેક મોટા રાજકારણીઓના કેસની સુનાવણી જજ એચ.એસ.સાતભઈ સમક્ષ થઈ છે. એનસીપીના મંત્રી છગન ભુજબળ, એકનાથ ખડસે અને અનિલ દેશમુખ આ નેતાઓમાં અગ્રણી છે. એચ.એસ. સાતભઈએ 9 સપ્ટેમ્બર 2021ના રોજ છગન ભુજબળ અને તેમના ભત્રીજા પંકજ ભુજબળને દોષમુક્ત જાહેર કર્યા હતા. શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની આગોતરા જામીનની સુનાવણી પણ તેમની સાથે પેન્ડિંગ છે.