
નાસિકના બહુચર્ચિત TCS કેસમાં નાસિક રોડ કોર્ટે આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે. સરકારી પક્ષે આરોપ લગાવ્યો હતો કે પીડિતાને ધાર્મિક વિધિઓ માટે પ્રભાવિત કરવામાં આવી હતી. તેનું નામ બદલવામાં આવ્યું હતું અને તેના દસ્તાવેજો આરોપી પાસે હતા.
આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દેવી આ કેસની તપાસ માટે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સરકારી પક્ષ વતી વકીલ અજય મિસર કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે આરોપી વતી વકીલ રાહુલ કાસલીવાલે દલીલો કરી હતી. 29 એપ્રિલના રોજ બંધ રૂમમાં અરજીની સુનાવણી થઈ હતી. તે સમયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પ્રતિનિધિત્વ કરતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સંદીપ મિટકેએ જામીનનો વિરોધ કર્યો હતો.
સરકારી પક્ષે દાવો કર્યો કે આરોપીએ પીડિતાને ધાર્મિક રીતિ રિવાજો માટે પ્રભાવિત કરી હતી. તેને હિજાબ પહેરતા શીખવાડ્યું હતું. પીડિતના ફોનમાં ધાર્મિક પરંપરાઓ સંબંધિત માહિતી મૂકવામાં આવી હતી. પીડિતને ધાર્મિક સામગ્રી પણ મોકલવામાં આવી હતી. આ કેસમાં મલેશિયા સાથે સંભવિત કડીની પણ તપાસ હાત ધરવામાં આવી રહી છે.
પીડિતના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે પીડિતાનું નામ બદલવામાં આવ્યું હતું અને જરૂરી દસ્તાવેજો આરોપી દાનિશ પાસે હતા. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે નોકરી અને પ્રમોશનના બહાને વધુ કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલાક પુસ્તકો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. જે પંચનામા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
પીડિતાનું નિવેદન, ફોન સંદેશાઓ, ડિજિટલ પુરાવા અને પરિવારના સભ્યોના નિવેદનોનો તપાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષે એમ પણ કહ્યું હતું કે આરોપી પર પીડિતાને પ્રભાવિત કરવા માટે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે અને તપાસ ચાલી રહી છે. કોર્ટના આ નિર્ણય પછી તપાસ એજન્સીઓને હવે આગળની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાથી આરોપી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.
કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મળતાં જ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. TCS ધર્માંતરણ કેસમાં હવે 9 FIR નોંધવામાં આવી છે. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ બાદ બધાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક FIRમાં નિદા ખાન અને અન્ય ઘણા લોકોના નામ આપવામાં આવ્યા છે.
એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં નિદા ખાને નાસિક રોડ કોર્ટમાં ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરીને આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે કેસમાં સરકારની દલીલો સાંભળ્યા પછી કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓને મદદ કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ છે.