મહારાષ્ટ્રના વિપક્ષના નેતા અને ભાજપ-શિવસેના સરકારમાં મુખ્યમંત્રી રહી ચુકેલા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આરોગ્ય સેવા વિભાગમાં નોકરી માટે નિમણૂક (Maharashtra Health Department Recruitment) સંબંધિત બાબતમાં દલાલોની સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આ કારણોસર રાજ્યની આરોગ્ય સેવામાં ભરતી પ્રક્રિયા થોડા દિવસો પહેલા રદ કરવામાં આવી છે. હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જે ફડણવીસની શંકાને મજબૂત કરે છે. આ ઓડિયો ક્લિપ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના આરોગ્ય વિભાગમાં નોકરી માટે અરજદારો પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે.
રાજ્ય આરોગ્ય સેવા ભરતી કૌંભાંડ દ્વારા ગરીબોના હકનો કોળીયો છીનવાઈ રહ્યો છે.
દલાલો એવો દાવો કરી રહ્યા છે કે આ નાણાં આપીને ઉમેદવારની નોકરી પાક્કી છે. એટલે કે, લાખો વિદ્યાર્થીઓ કે જેમણે મહેનતથી અભ્યાસ કર્યો છે અને હવે નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમના ભવિષ્ય સાથે રાજ્યમાં સીધી રમત રમાઈ રહી છે. પૈસા વડે નોકરી આપવાનો દાવો કરનારા વચેટિયા અને દલાલ વચ્ચેની વાતચીતની આ ઓડિયો ક્લિપ વધુને વધુ વાયરલ થઈ રહી છે.
ઓડિયો ક્લિપમાં વર્ગ-ડી સાથે જોડાયેલી નોકરી માટે 6 લાખ રૂપિયા અને વર્ગ-બી સંબંધિત નોકરી માટે 13 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. એજન્ટ દ્વારા કામ 100 ટકા પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ Tv9 ગ્રુપ આ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ઓબીસી નેતા પ્રકાશ શેંડગેએ રાજ્ય આરોગ્ય સેવા ભરતીની પ્રક્રિયાને એક મોટું કૌભાંડ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને 5, 10, 15 લાખ રૂપિયા લઈને નોકરી આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. આ નોકરીઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત 12 પાસ છે. શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા એવા લાખો વિદ્યાર્થીઓએ આ નોકરીઓ માટે અરજી કરી છે.
આવા ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવી અત્યંત નિંદનીય છે. તેથી, ત્રણ-ચાર દિવસ પહેલા, જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પોતપોતાના કેન્દ્રો પર પહોંચ્યા હતા ત્યારે પરીક્ષા અચાનક કેમ રદ કરવામાં આવી, તેની ઉંડી તપાસ કરવી જરૂરી છે. દેવેન્દ્ર ફડણવીસ બાદ હવે પ્રકાશ શેંડગેએ પણ આ માંગ કરી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડો નહીં, CID દ્વારા કેસની તપાસ કરાવો
ઓડિયો ક્લિપમાં અમરાવતી જિલ્લાનો ઉલ્લેખ છે. પરંતુ દલાલોનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલ હોવાનું કહેવાય છે. ઓડિયો ક્લિપમાં ન્યાસા કંપની (Nysa Communications Pvt. Ltd.) નો ઉલ્લેખ છે. ન્યાસા કંપનીનો માલિક 84 દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવ્યો છે. આવી બ્લેકલિસ્ટેડ કંપનીને પરીક્ષા યોજવાની જવાબદારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે ? આ પ્રશ્ન પૂછતી વખતે પ્રકાશ શેંડગેએ આ સમગ્ર મામલાની સીઆઈડી તપાસની માંગ કરી છે.
પરીક્ષાની તારીખ લંબાવવાને કારણે વિદ્યાર્થીઓમાં ગુસ્સો, હવે પરીક્ષામાં વિશ્વાસ નથી
આરોગ્ય વિભાગમાં નિમણૂકને લગતી પરીક્ષા મુલતવી રાખવાના કારણે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં રોષ છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી કે નિમણૂકને લગતી પરીક્ષા રદ કરવામાં આવી નથી. માત્ર તારીખ લંબાવવામાં આવી છે. તેમણે બે દિવસ પહેલા એમ પણ કહ્યું હતું કે આરોગ્ય વિભાગે પરીક્ષા યોજવાની જવાબદારી ન્યાસા કોમ્યુનિકેશનને આપી હતી, પરંતુ તેના દ્વારા કામ સમયસર પૂરું થયું ન હતું. જેથી પરીક્ષા અચાનક મુલતવી રાખવી પડી હતી. દિલ્હી સ્થિત આ કંપની આવી પરીક્ષાઓના આયોજન અને સંચાલન માટે કોન્ટ્રાક્ટ લે છે.
આ કંપની મુંબઈના નરીમાન પોઈન્ટના ડાલામલ ટાવરમાં પણ એક ઓફિસ ધરાવે છે. જ્યારે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠીની ટીમ આ કંપનીની ઓફિસ પહોંચી ત્યારે તે આજે (27 સપ્ટેમ્બર, સોમવાર) બંધ જોવા મળી હતી. ઓફીસના સાઇન બોર્ડમાં આપેલા નંબરો પણ બંધ આવી રહ્યા છે.
આ પણ વાંચો : Stock Update : શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર