
દેશમાં હાલ ચોમાસુ સક્રિય છે અને લગભગ તમામ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં અનેક પ્રકારની દુર્ઘટના પણ બનતી હોય છે. ભારે વરસાદને કારણે મંગળવારે સાંજે મુંબઈમાં દહિસરમાં એક મકાન ધરાશાયી થયું હતું. અચાનક ઘરની દિવાલોમાં તિરાડ પડવાનો અવાજ આવતા ઘરમાં ભયનો માહોલ ફેલાયો હતો.
થોડી જ વારમાં ઘરના તમામ સભ્યો બહાર આવીને ઊભા રહ્યા અને પછી આખું ઘર પડી ગયું હતું. જોતજોતામાં આખું ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું. ઘરની દરેક વસ્તુ કાટમાળ નીચે દબાય ગઈ હતી. પરિવારના વડાની જીવનભરની કમાણી માટીમાં ભળી ગઈ. વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટના દહિસર વિસ્તારના શિવ શક્તિ ચાલના કેતકી પાડાની છે.
45 વર્ષીય નવલેશ જાગેશ્વર પંડિત સાંજે પરિવાર સાથે પોતાના ઘરે બેઠા હતા. સાંજના 5:30 વાગ્યાના સુમારે અચાનક ઘરની દિવાલમાં તિરાડ પડવાનો અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળીને તમામ લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. જેવો જ પરિવારના સભ્યો બહાર આવ્યા અને આખું ઘર નીચે પડી ગયું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘરનો કાટમાળ હટાવ્યો હતો. આ ઘટનામાં ઘરના તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવવામાં મદદ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે જો તે લોકો સમયસર બહાર ન આવ્યા હોત તો તેઓ ઘરના કાટમાળમાં દટાઈ ગયા હોત.
આ પણ વાંચો : Maharashtra: ઉદ્ધવ ઠાકરેના શિંદે-ફડણવીસ પર પ્રહાર, કહ્યુ- મારી સરકાર પડી નથી, કરચલાઓએ જ ડેમ તોડ્યો
આ ઉપરાંત મુંબઈના અંધેરી વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે. ભૂસ્ખલનને કારણે બિલ્ડિંગની દિવાલ તૂટી હતી અને ડઝનેક લોકોના ઘરમાં કાટમાળ આવી ગયો હતો. કાટમાળને કારણે 168 ફ્લેટ ધરાવતી ઈમારતમાં હડકંપ મચી ગયો હતો. નાલાસોપરમાં પણ એક બિલ્ડીંગનો હિસ્સો નમી ગયો હતો. બિલ્ડિંગના લોકોએ સ્થાનિક પ્રશાસનને ઘટના અંગે જાણ કરી હતી.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો