
મહારાષ્ટ્રના પાલઘરમાં મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલ (MACT) એ વર્ષ 2017ના એક કેસમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને 1.06 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. 2017માં મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયેલા એક રોડ અકસ્માતમાં 31 વર્ષનો એક યુવક પેરાલાઇઝ્ડ (લકવાગ્રસ્ત) થઈ ગયો હતો. પીડિત ઋષભ વિજય કુમાર ચોપરા હોટલ મેનેજમેન્ટનો પૂર્વ વિદ્યાર્થી છે. MACT ના સભ્ય એ.આર. રહાણેએ ઋષભની કારને ટક્કર મારનારા ટ્રકના માલિક અને તેની ઇન્સ્યોરન્સ કંપની ‘ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ’ને સંયુક્ત રીતે પીડિતને 1.06 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલે ટ્રકના માલિક અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સને આ રકમ પર અરજી દાખલ કર્યાની તારીખથી 6 ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. દાવાની અરજી અનુસાર, હોટલ મેનેજમેન્ટનો સ્ટુડન્ટ ઋષભ 31 ડિસેમ્બર, 2017ના રોજ પોતાના માતા-પિતા સાથે કાર દ્વારા ગુજરાતના વાપીથી મુંબઈ જઈ રહ્યો હતો. તે સમયે કાર તેના પિતા ચલાવી રહ્યા હતા. આ દરમિયાન હલોલી ગામ નજીક એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટક્કરના કારણે કાર ત્રણથી ચાર વખત પલટી મારીને રોડની બીજી તરફ જઈ પડી હતી.
આ અકસ્માતમાં ઋષભના માતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. તેનાથી તે કાયમી ધોરણે 70 ટકા સુધી અશક્ત થઈ ગયો અને ત્યારથી પથારીવશ છે. ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમનો વિરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે અકસ્માતમાં પીડિતના પિતાની બેદરકારી હતી. તેણે ઋષભની ભવિષ્યમાં કમાણી કરવાની ક્ષમતા અને સારવાર પર થયેલા ખર્ચની રકમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
MACT એ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સની તમામ દલીલો ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે જણાવ્યું કે પોલીસે બેદરકારી અને પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના આરોપમાં માત્ર ટ્રક ડ્રાઇવર સામે જ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે કહ્યું, “ચાર્જશીટ દાખલ થવી એ પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે ટ્રક ડ્રાઇવર બેદરકારીથી અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો.” મોટર અકસ્માત દાવો ટ્રિબ્યુનલે સામાવાળાઓને બે મહિનાની અંદર આખી રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.