ગ્લેમરથી રાજનીતિ સુધી: જાણો કોણ છે નવનીત રાણા? CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન બહાર હનુમાન ચાલીસાના પાઠની જાહેરાતથી આવ્યા ચર્ચામાં

સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) ગયા વર્ષે માર્ચ મહિનામાં જ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ માસ્ક પહેરીને સંસદ પહોંચ્યા હતા. તેમણે આ સંક્રમણ (Corona) સમયગાળા દરમિયાન માસ્ક અને સ્ક્રીનિંગ લાગુ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

ગ્લેમરથી રાજનીતિ સુધી: જાણો કોણ છે નવનીત રાણા? CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન બહાર હનુમાન ચાલીસાના પાઠની જાહેરાતથી આવ્યા ચર્ચામાં
MP Navneet Rana (File Image)
| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:51 AM

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ખાનગી નિવાસ સ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરીને ચર્ચામાં આવનાર અને અપક્ષ સાંસદ નવનીત કોરનું પુરુ નામ નવનીત કૌર રાણા (Navneet Kaur Rana) છે. તેમનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. નવનીતના પિતા આર્મીમાં હતા. નવનીત રાણાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડીને મોડલિંગનું ક્ષેત્ર પસંદ કર્યું અને તેમાં પોતાનું કરિયર બનાવ્યું. મોડલિંગ સિવાય તેમણે તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નવનીત કૌર મરાઠી, પંજાબી, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે.

લગ્નબાદ રાજકારણમાં એન્ટ્રી

વર્ષ 2011માં તેમણે અમરાવતીના બડનેરા વિધાનસભા ક્ષેત્રના સ્વતંત્ર ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યા. આ લગ્ન પછી તેઓ નવનીત કૌરમાંથી નવનીત રાણા બન્યા. તે સમયે મહારાષ્ટ્રમાં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી, કારણ કે તેમની સાથે સામૂહિક લગ્ન સમારોહમાં લગભગ 3,720 યુગલોએ લગ્ન કર્યા હતા. જેમાં તત્કાલિન સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાબા રામદેવ પણ મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને લગ્ન બાદ નવનીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી, પરંતુ તેમાં હાર થઈ હતી. જ્યારે 2019માં NCP અને કોંગ્રેસના સમર્થનથી તેઓ અમરાવતીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે આ સીટ પર શિવસેનાના ઉમેદવારને હરાવ્યા હતા. નવનીતના પતિ રવિ રાણા મહારાષ્ટ્રમાં સ્વતંત્ર ધારાસભ્ય છે અને યોગ ગુરુ બાબા રામદેવના ભત્રીજા છે. નવનીત કૌર ગયા વર્ષે માર્ચ મહિનામાં જ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ માસ્ક પહેરીને સંસદ પહોંચ્યા હતા. તેમણે આ સંક્રમણ સમયગાળા દરમિયાન માસ્ક અને સ્ક્રીનિંગ લાગુ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

પહેલા પણ વિવાદોમાં ઘેરાયા

આ પહેલા સાંસદ નવનીત કૌરે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત પર તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. નવનીતે કહ્યું કે તેણે સચિન વાઝેનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો, જેનાથી શિવસેનાના અરવિંદ સાવંત નારાજ થયા હતા અને તેઓએ મહારાષ્ટ્ર પર પ્રવેશવા પર તેમને ધમકી આપી હતી. નવનીત ભૂતકાળમાં આરોપ લગાવતા રહ્યા છે કે સંસદમાં શિવસેના વિરુદ્ધ બોલવા બદલ તેમને ધમકીભર્યા પત્રો મળ્યા છે.

આ પણ વાંચો :  લાઉડ સ્પીકરનો વિવાદ પહોંચ્યો ‘માતોશ્રી’ સુધી, ઘર બહાર જમા થયેલા શિવસૈનિકોને CM ઉદ્ધવ ઠાકરેએ કરી આ અપીલ

Published On - 10:56 am, Sat, 23 April 22