મહારાષ્ટ્રના (Maharashtra) 51 તાલુકાની 608 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોના સદસ્યો સહિત સરપંચો પણ સીધી જનતા દ્વારા ચૂંટાશે. ચૂંટણી 18 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાશે. આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મતગણતરી 19 સપ્ટેમ્બરે થશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર યુ.પી.એસ. મદન દ્વારા આજે (શુક્રવાર, ઓગસ્ટ 12) આની જાહેરાત કરવામાં આવી હતી. મદાને કહ્યું કે સુપ્રીમ કોર્ટના 17 મે, 2022ના આદેશ અનુસાર જે વિસ્તારોમાં વરસાદને કારણે ચૂંટણી પ્રભાવિત થવાની સંભાવના નથી, તે એકાવન તાલુકાઓની છસો આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને આદેશ આપ્યો છે કે જ્યાં ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે તે ગ્રામ પંચાયતોમાં અતિવૃષ્ટિ, પૂર કે આવી કોઈ કુદરતી આફતને લગતી પરિસ્થિતિ ઊભી થાય તો તેનો તાત્કાલિક અહેવાલ ચૂંટણી પંચને મોકલવો.
જાહેર કરાયેલ ચૂંટણી સમયપત્રક અનુસાર, સંબંધિત તલાટી 18 ઓગસ્ટ 2022ના રોજ ચૂંટણી સંબંધિત સૂચના પ્રકાશિત કરશે. નોમિનેશનનું કામ 24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી શકાશે. જાહેર રજાઓને કારણે 27,28 અને 31 તારીખે નામાંકન દાખલ કરી શકાશે નહીં. આ પછી, 2 સપ્ટેમ્બર 2022 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.
નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી રહેશે. 18 સપ્ટેમ્બરે સવારે 7.30 થી સાંજના 5.30 સુધી મતદાન થશે. મતગણતરી 19 સપ્ટેમ્બરે થશે. આ ચૂંટણીમાં પછાત વર્ગો માટેની બેઠકો પછાત વર્ગ આયોગની ભલામણમાં નિર્ધારિત પ્રમાણમાં નક્કી કરવામાં આવી છે.
આ રીતે 51 તાલુકાની 608 ગ્રામ પંચાયતો માટે 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે અને 19 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે.